ભરૂચ:
શ્રાવણ વદ આઠમ એટલે કે જન્માષ્ટમીના પાવન પર્વની ભરૂચ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. નંદલાલના જન્મોત્સવને વધાવવા શહેરના વિવિધ મંદિરો, ધર્મસ્થાનો, શેરીઓ, સોસાયટીઓ અને ફળિયાઓમાં ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
જન્માષ્ટમીને લઈને વહેલી સવારથી જ શહેરના વિવિધ મંદિરોમાં ભક્તોની ભારે અવરજવર જોવા મળી હતી. મંદિરોમાં ભગવાન શ્રીકૃષ્ણને આકર્ષક વસ્ત્રો અને આભૂષણોથી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ભક્તોએ પૂજા-અર્ચના કરી નંદલાલના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
સાંજ પડતાં શહેરના અનેક વિસ્તારો કૃષ્ણભક્તિના રંગે રંગાયા હતા. ભક્તિગીતો અને ભજનોની ધૂન સાથે કેટલાક સ્થળોએ રાસ-ગરબાના કાર્યક્રમો પણ યોજાયા હતા. નાના-મોટા બાળકો સહિત ભક્તોએ ઉત્સાહપૂર્વક ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
મધરાતે બરાબર 12 વાગ્યે શ્રીકૃષ્ણ જન્મની ઘડી આવતા જ મંદિરો સહિત વિવિધ સ્થળોએ ઘંટનાદ અને જયઘોષ સાથે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ‘નંદ ઘેર આનંદ ભયો… જય કનૈયા લાલ કી’ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ ભગવાન શ્રીકૃષ્ણને પારણામાં ઝુલાવી જન્મોત્સવની વધામણી કરી હતી.
શહેર અને જિલ્લામાં વિવિધ સ્થળોએ મટકી ફોડના કાર્યક્રમો પણ યોજાયા હતા. યુવકોની ટીમોએ માનવ પિરામિડ બનાવી ઉત્સાહપૂર્વક મટકી ફોડી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી.
આમ, ભરૂચમાં જન્માષ્ટમી પર્વ ભક્તિ, પરંપરા, શ્રદ્ધા અને ઉત્સાહના સંગમ સાથે રંગેચંગે ઉજવાયો, જેના પગલે શહેર અને જિલ્લામાં દિવસભર તથા ખાસ કરીને રાત્રિના સમયે કૃષ્ણમય માહોલ છવાઈ ગયો હતો.
