અંકલેશ્વર શહેર વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિ પર લગામ કસવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. સારંગપુર ગામના વણઝારા વાસમાં મકાનના ધાબા ઉપર પત્તા પાનાથી હારજીતનો જુગાર રમતા પાંચ શખ્સોને LCBની ટીમે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 88,700નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, LCBની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન સારંગપુર ગામના વણઝારા વાસમાં ભગવાનભાઈ વાણઝારાના મકાનના ધાબા ઉપર કેટલાક ઇસમો પોતાના આર્થિક લાભ માટે પત્તા પાનાથી હારજીતનો જુગાર રમી-રમાડી રહ્યા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ટીમે સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી કરી હતી.
દરોડા દરમિયાન પોલીસે ઈશ્વરભાઈ ભગાજીભાઈ વણઝારા, મહેશભાઈ પ્રતાપભાઈ વણઝારા, જગદીશભાઈ રાણાજી વણઝારા, સુરજસિંગ હરજીતસિંગ જાતે સિંગ અને કૃષ્ણા મીઠુલાલ મલાને ઝડપી પાડ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી અંગઝડતી અને દાવ પરના રૂ. 28,700 રોકડા, પાંચ મોબાઇલ ફોન કિંમત રૂ. 60,000, 52 પત્તા અને એક લાઇટ બિલ મળી કુલ રૂ. 88,700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં જુગારધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી PSI આર.કે. ટોરાણીના નેતૃત્વમાં LCBની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
