ભરૂચ ।
ઔદ્યોગિક વિસ્તાર દહેજ GIDC અને આસપાસના વિસ્તારોમાં હરિયાળી વધારવા તથા પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા ‘સેવા મારું યોગદાન’ અભિયાન અંતર્ગત ૩,૩૩૩ વૃક્ષો વાવવાનું મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને સદભાવના સેવા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આ અભિયાન હાથ ધરાયું છે.
GPCBના અધ્યક્ષ આર.બી. બારડ અને સભ્ય સચિવ દીપાલીબેન ટાંકના માર્ગદર્શન હેઠળ GPCBની પ્રાદેશિક કચેરી, ભરૂચ દ્વારા તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ આ વિશેષ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઔદ્યોગિક વિસ્તારમાં હરિયાળીનું પ્રમાણ વધારવા તેમજ પર્યાવરણની સમતુલા જાળવવાના હેતુથી શરૂ કરાયેલા આ અભિયાનમાં માત્ર વૃક્ષારોપણ પૂરતું સીમિત ન રહી દહેજ GIDC વિસ્તારમાં સ્વચ્છતા અંગે વિવિધ જાગૃતિ કાર્યક્રમો અને સફાઈ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવશે. દહેજ ઔદ્યોગિક વસાહત તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવા માટે સંયુક્ત પ્રયાસો કરવામાં આવશે. વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન થકી ઔદ્યોગિક વિસ્તારને વધુ હરિયાળો અને સ્વચ્છ બનાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. આ અભિયાનમાં સંબંધિત સંસ્થાઓ, ઉદ્યોગો અને સ્થાનિક લોકોના સહયોગથી પર્યાવરણ સંરક્ષણ તથા સ્વચ્છતા અંગે જનભાગીદારી વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
