ભરૂચ જિલ્લામાં બેફામ બનેલા બુટલેગરો સામે પોલીસે તવાઇ બોલાવી છે, જિલ્લાના વિવિધ સ્થળે ક્રાઇમ બ્રાંચ દ્વારા દિન પ્રતિદિન પાડવામાં આવી રહેલા દરોડામાં લાખોની કિંમતમાં ભારતીય બનાવટનો વિદેશી શરાબ ઝડપાઇ રહ્યો છે, છેલ્લા એક માસમાં જિલ્લાના વિવિધ સ્થળે લોકલ ક્રાઇમ બ્રાંચે દરોડા પાડી અનેક બુટલેગરોને જેલના સળિયા ગણતા કરી મુક્યા છે, તેમ છતાં બેફામ બુટલેગરો સુધારવાનું નામ ન લેતા હોય તેમ હજુ પણ પોતાનો વેપલો ધમધમાવી રહ્યા હતા જે અંગેની જાણ ક્રાઇમ બ્રાંચની ટીમોને થતા ભરૂચના નિઝામવાડી અને શુકલતીર્થ ગામ ખાતે દરોડા પાડી કુલ ૬ બુટલેગરોની ધરપકડ કરી અન્ય ૩ ને વોન્ટેડ જાહેર કરાયા હતા.
ક્રાઇમ બ્રાંચે ભરૂચના બંબાખાના આઇસ ફેક્ટરી પાછળ નિઝામ વાડી વિસ્તારમાં એક મકાનમાં દરોડા પાડતા મકાનની અંદર રહેલા સ્ટીલના ડબ્બાઓમાં સંતાડવામાં આવેલ વિદેશી શરાબ અને બિયરના ટીનનો જથ્થો મળી આવ્યો હતો, ક્રાઇમ બ્રાંચે મામલે સ્થળ પરથી ગિરીશભાઈ સુરેશભાઈ મિસ્ત્રી રહે,ઝંડા ચોક,વેજલપુર, ભરતભાઇ ઈશ્વરભાઈ મિસ્ત્રી,રહે. ઉમા કુંઝ સોસાયટી,ઝાડેશ્વર,અંબાલાલ લક્ષ્મી દાસ મિસ્ત્રી રહે,વેજલપુર, પારસીવાડ,તેમજ તત્વવેશ કાંતિભાઈ મિસ્ત્રી રહે,પારસીવાડ,ભરૂચ નાઓને ઝડપી પાડી અન્ય એક બુટલેગર પરેશ જયંતીભાઈ મિસ્ત્રીને વોન્ટેડ જાહેર કરી તમામ પાસેથી કુલ ૯૩,૭૫૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
બીજી તરફ ક્રાઇમ બ્રાંચે ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામ ખાતે પણ બુટલેગરને ત્યાં દરોડા પાડ્યા હતા જ્યાં ગામના પીપળા ફળીયામાં આવેલ કાચા ઝૂંપડામાંથી ભારતીય બનાવટનો વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાંચના દરોડામાં વિદેશી શરાબનું વેચાણ કરતો બુટલેગર મહેન્દ્ર ઉર્ફે મહીન શંકર વસાવા, રહે,શુકલતીર્થ તેમજ વિરમલ ઉર્ફે સતો રમેશભાઇ વસાવા રહે,શુકલતીર્થ નાઓની ધરપકડ કરી હતી તેમજ રોહિત વસાવા અને જેકીને વોન્ટેડ જાહેર કરી ક્રાઇમ બ્રાંચે સ્થળ પરથી વિદેશી શરાબ સહિત કુલ ૭૮ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી તમામ બુટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.