સુરેન્દ્રનગર.
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. અહીં મોટા પ્રમાણમાં ખનીજની ચોરી થતી હોય છે. આ ખનન માફિયાઓ તંત્રની આંખમાં ધુળ નાખીને બેફામ ચોરી કરવા માટે રસ્તાઓ કાઢી રહ્યા છે.

આ ખનનમાફિયાઓએ રેતી ભરેલા ડમ્પર લઈ જવા માટે પાણી વચ્ચે રસ્તાઓ બન્યા હતા. ત્યારે કોઈ પરવાનગી વગર ગેરકાયદેસર રીતે રસ્તાઓ બનાવનાર ખનન માફિયાઓ સામે સુરેન્દ્રનગર કલેક્ટરે લાલ આંખ કરી છે.કલેક્ટરના આદેશ બાદ ગેરકાયદેસર રસ્તાઓ તોડી પડાયા છે અને આવા આ રસ્તાઓ બનાવનાર સામે કાર્યવાહી કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલના આદેશ બાદ વઢવાણ પ્રાંત ઓફિસર અને મામલતદાર એ ગેરકાયદેસર રસ્તાઓ તોડી પડાયા હતા. આ કાર્યવાહી કરવા માટે જીસીબી સહીતની ટીમ ત્યાં પહોંચી હતી અને આવા રસ્તાઓને તોડી પડાયા હતા. આ મામલે કલેક્ટરે જણાવ્યું હતુ કે, રેતી ખનનમાફીયાઓએ ધોળીધજા ડેમના પાછળના ભાગે અને વસતડી ગામે પાણી વચ્ચે રસ્તાઓ બનાવ્યા હતા. આવા તમામ રસ્તાઓ તોડી પાડવામા આવશે. એક ડમ્પર રેતી ભરવા જતી વખતે પાણીમા ખાબક્યુ હતુ એકનુ મોત નીપજ્યુ હતુ. ત્યારે કલેક્ટર દ્વારા આ રસ્તાઓ બનાવનાર સામે કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે.
