સમગ્ર ભરૂચ જિલ્લામાં બકરી ઈદનાં તહેવારની ઉજવણી સંદર્ભે કેટલાક કૃત્યો પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું પડ્યું
ભરૂચ
બકરી ઈદનાં તહેવારની ઉજવણી તા.૦૬/૦૬/૨૦૨૫ થી તા.૦૭/૦૬/૨૦૨૫ નાં રોજ થશે અને તહેવારનાં દિવસોમાં કતલખાનાની બહાર કોઈ પણ જાહેર કે ખાનગી સ્થળે જુદા-જુદા પશુઓની કતલને કારણે તેમજ જાહેર શેરીઓમાં કે સ્થળ ઉપર દેખાય તે રીતે અન્ય કોઈ પણ પશુની કતલને કારણે સુલેહ શાંતિનો ભંગ થવાનો સંભવ છે અને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ ની કલમ-૧૬૩ મુજબ પગલા લેવા માટે પુરતું કારણ છે તેમજ તાત્કાલિક ધોરણે સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવવાનું ઈચ્છનીય છે.
ગૌરાંગ મકવાણા, જિલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ ની કલમ-૧૬૩ મુજબ મળેલ સત્તાની રૂએ,
(૧) ભરૂચ જિલ્લાની હદની અંદર કોઈપણ વ્યક્તિએ તા.૦૬/૦૬/૨૦૨૫ થી તા.૦૭/૦૬/૨૦૨૫ સુધી (બંને દિવસ સહિત) કતલખાનાનાં મકાનની બહાર કોઈ પણ જાહેર સ્થળે જુદા-જુદા પશુઓની કતલ કરવી નહીં તેમજ ભરૂચ જિલ્લાની હદમાં કોઈ પણ જાહેર સ્થળોમાં દેખાય તે રીતે અન્ય કોઈ પણ પશુની કતલ કરવી નહીં.
(૨) કોઈપણ વ્યક્તિએ કોઈપણ પ્રાણીને શણગારીને એકલા અગર સરઘસ આકારે જાહેરમાં લઈ જવા કે ફેરવવા નહીં.
(૩) બકરી ઈદ તહેવાર નિમિત્તે કુરબાની પછી જાનવરનાં માંસ, હાંડકા અને અવશેષો જાહેરમાં ફેંકવા નહી.
ઘી બોમ્બે એનિમલ પ્રિઝર્વેશન એકટ, ૧૯૫૪ તથા પ્રિવેન્શન ઓફ ક્રૂઅલ્ટી ટુ એનિમલ એકટ-૧૯૬૦ થી જે પશુઓની કતલ પર પ્રતિબંધ મુકેલ છે, તે પશુઓની કતલ ખાનગી કે જાહેર સ્થળોએ થઈ શકશે નહિ.આ જાહેરનામુ તા.૦૬/૦૬/૨૦૨૫ સમય ૦૦:૦૦ કલાક થી તા.૦૭/૦૬/૨૦૨૫ રાત્રીનાં ૧૨:૦૦ કલાક સુધી (બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે. અને આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે. આ જાહેરનામાનાં ભંગ બદલ ફરીયાદ માંડવા પોલીસ હેડ કોન્સ્ટેબલથી ઉતરતી કક્ષાનાં ન હોય તેવા પોલીસ ખાતાનાં કર્મચારી/અધિકારીને અધિકૃત કરવામાં આવે છે. તેમ જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ દ્રારા મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
