ઝાડીઓમાં સરીસૃપોની સંખ્યા વધતાં ત્યાંથી પસાર થતાં લોકોમાં ભયનો માહોલ
ભરૂચ.
ભરૂચ શહેરમાં આવેલાં દાંડિયાબજાર વિસ્તારમાં આવેલાં દશાશ્વમેઘ ઘાટ ખાતે નર્મદા કિનારે જવાનો રસ્તો બિસ્માર બની ગયો છે. ઉપરાંત રોડની આજૂબાજુમાં વધી ગયેલાં ઝાડી-ઝાંખરાઓમાં સરીસૃપોની સંખ્યા વધી રહી હોવાથી નદીએ સ્નાન કરવા આવતા-જતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે વહિવટી તંત્ર દ્વારા દશાશ્વમેઘ ઘાટ પર નર્મદા નદી કિનારે જતો રસ્તાનું નવિનિકરણ કરવા સાથે તેને પહોળો કરવામાં આવે તેવી માગ ઉઠી છે. રસ્તાની આજુબાજુમાં ગાંડાબાવળ સહિતના ઝાડવાઓનું સામ્રાજ્ય છે. જેમાં સરીસૃપોનો વસવાટ વધી ગયો છે. ત્યારે ગમે ત્યારે સરીસૃપો રસ્તા પર આવી ત્યાંથી પસાર થતાં લોકોને દંશ મારે તેવી ભિતી સેવાઇ રહી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, રવિવારે ગૌરીવ્રતની પૂર્ણાહૂતિ નિમિત્તે કુમારિકાઓ તેમના જવારાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવા માટે પરિવાર સાથે નર્મદા કિનારે આવી હતી. જોકે, રસ્તો ખરાબ હોવાને કારણે ત્યાંથી પસાર થવું ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આગામી દિવસોમાં શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ હવે હિન્દુઓના પવિત્ર તહેવારો શરૂ થઇ જશે. દશામા વ્રત, શ્રાવણ મહિનામાં નર્મદા સ્નાન, ગણેશચતુર્થી સહિતના તહેવારો આવનાર હોઇ મોટી સંખ્યામાં હિન્દુઓ આ રોડતો ઉપયોગ કરશે. જેથી વહિવટી તંત્ર દ્વારા નર્મદા નદી કિનારે, રોડ પર સાફસફાઇ સહિત રોડની આજુબાજુની ઝાડી – ઝાંખરા દૂર કરી લોકોને ભયમુક્ત કરે તેવી આશા સ્થાનિકોએ વ્યક્ત કરી છે. નોંધનિય છે કે, દાંડિયાબજાર તિરૂપતિ કંકેશ્વર મહાદેવ (પશુપતિનાથ મહાદેવ) મંદિર પાસે રહેતાં ચંદુભાઇ રોજાહરા તેમજ વિસ્તારના રહિશોએ વર્ષ 2023માં ભરૂચ કલેક્ટરને આ મામલે રજૂઆતોકરી હતી. જોકે, હજી સુધી તેમાં કોઇ પગલાં ભરાયાં નથી.
અમે રોજ મંદિરે આવીએ છીએ, પણ રસ્તામાં સરિસૃપોની બીક લાગે છે દશાશ્વમેઘ ઘાટ જવાના રસ્તા પર બાવળિયા રોડ પર આવી ગયાં છે અને રોડની સાઇડમાં જ લોકો કચરો નાંખી જાય છે. ભરૂચ નગરપાલિકાને અમે અનેકવાર જાણ કરી છતાં અહીં કોઇ આવતું નથી. અહીં દશાશ્વમેઘ ઘાટ પર પશુપતિનાથ મહાદેવનું મંદિર આવેલું છે. જ્યાં અમે રોજ સવાર સાંજ પુજા કરવા આવીએ છીએ. પરંતુ રસ્તો ખરાબ હોવાને કારણે અગડતાં થાય છે. અને ઝાડીઓમાં સરિસૃપો વધુ હોઇ ક્યાંરેક કોઇ સરિસૃપ કરડી જાય તેવી ભિતી રહે છે. હેમંત પંચાલ, સ્થાનિક, શ્રદ્ધાળું
અમે અનેક રજૂઆતો કરી પણ કોઇ કામ થયું નથી અમે અગાઉ કલેક્ટર કચેરીએ તેમજ નગરપાલિકામાં અનેકવાર લેખિતમાં અને મૌખિક રજૂઆતો કરી છે. જોકે, કોઇ કાર્યવાહી થઇ નથી. રસ્તો કાચો હોઇ વરસાદમાં ખાડા પડી ગયાં હોવાથી ગાડીઓ ફસાઇ જાય છે, બાવળિયા રોડ પર આવી ગયાં છે. આ વિસ્તારમાં 6 ફૂટના સર્પ, 12 ફૂટના અજગર જોવા મળે છે. આગામી દિવસોમાં દશામાના વ્રતમાં હજારો લોકો આવશે ત્યારે કોઇ દુર્ઘટના સર્જાય તેવી ભિતી છે. વહિવટી તંત્ર તુરંત એક્શનમાં આવે અને રસ્તો બનાવે તેમજ બાવળિયા સાફ કરાવે તેવી સૌની માંગ છે ચંદુભાઇ રોજાહરા, સ્થાનિક રહિશ
રસ્તો ખરાબ હોઇ વાહનો ખાડામાં ફસાઇ જાય છે, સુવિધા વધારવી જોઇએ ગૌરી વ્રત નિમિત્તે ગૌરમાતાને વળાવવા માટે આવ્યાં હતાં. આ રસ્તો ખુબ જ ખરાબ છે. નર્મદા નદી સુધી પહોંચવું મુશ્કેલ બને છે. રસ્તામાં પડેલાં ખાડાઓને કારણે લોકોના વાહનો ફસાય છે. આગામી દિવસોમાં દશામાના વ્રત આવી રહ્યાં છે. ત્યારે તંત્ર દ્વારા તુરંત પગલાં ભરી આ રસ્તો બનાવવામાં આવે તેમજ આ રોડ પર સાફસફાઇ કરવામાં આવે. તથા નર્મદા કિનારે સુવિધાઓ ઉભી કરવામાં આવે તેવી અમારી માગ છે. છાયાબેન પંચાલ, સ્થાનિક મહિલા,
