વાલીયા :
દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં — ખાસ કરીને સાગબારા, ડેડીયાપાડા, વાલીયા, ઝઘડિયા, નેટ્રંગ, માંગરોલ અને ઉમરપાડા તાલુકાઓમાં વસવાટ કરતા અનુસૂચિત જનજાતિ (Scheduled Tribe) પરિવારોને જાતિ દાખલા મેળવવામાં ગંભીર તકલીફો પડી રહી છે.
આ ગંભીર પ્રશ્નને લઈ ગઈકાલે વાલીયા ખાતે પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાની અધ્યક્ષતામાં આદિજાતિ આગેવાનોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ તાલુકાઓના આગેવાનો, કાર્યકર્તાઓ અને સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન ચર્ચા દરમ્યાન જણાયું કે સરહદી તાલુકાઓમાં મહારાષ્ટ્રથી લગ્ન કરીને આવતી વહૂઓને જાતિ દાખલા આપવામાં તંત્ર અયોગ્ય અડચણો ઉભી કરી રહ્યું છે. કેટલાક કિસ્સાઓમાં ભ્રષ્ટાચારના આક્ષેપો પણ સામે આવ્યા છે.
આ પરિસ્થિતિ સામે રાજ્ય સરકાર તાત્કાલિક પગલા લે અને આદિજાતિ પરિવારોને ન્યાય આપે, તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી દિવસોમાં આંદોલન, રેલી અને પદયાત્રા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી.
સંદીપ માંગરોલાએ જણાવ્યું કે —
“આ મુદ્દો ફક્ત દસ્તાવેજી નથી, પરંતુ આદિજાતિ સમાજના માન, હક્ક અને અસ્તિત્વનો પ્રશ્ન છે. અમે શાંતિપૂર્ણ રીતે, કાયદેસર રીતે આંદોલન ચલાવીને દરેક પરિવારોને ન્યાય અપાવવા પ્રતિબદ્ધ છીએ.”
બેઠકમાં નિર્ણય લેવાયો કે દરેક તાલુકામાં આદિજાતિ હક્કો માટે જાગૃતિ અભિયાન, આદિજાતિ ન્યાય યાત્રા, અને પ્રતિજ્ઞા સભા યોજવામાં આવશે.
કોંગ્રેસ પક્ષ આ મુદ્દે રાજ્ય સરકારને રજૂઆત કરશે અને જો યોગ્ય પગલાં નહીં લેવાય તો આંદોલન તીવ્ર બનાવવામાં આવશે.
