ઝાડેશ્વર તળાવનું ૪.૫૭ કરોડના ખર્ચે અપગ્રેડેશન-બ્યુટિફિકેશન કરાશે
જળસંપતિ અને પાણી પુરવઠા મંત્ર ઈશ્વર પટેલના હસ્તે ગુરુવારે ખાતમુહૂર્ત
। ભરૂચ ।
ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલાં તળાવને બૌડા દ્વારા ૪.૫૭ કરોડના ખર્ચે અપગ્રેડેશન અને બ્યુટિફિકેશન કરવામાં આવશે. ત્યારે ગુરૂવારે જળસંપતિ અને પાણી પુરવઠા મંત્ર ઈશ્વર પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે.
ભરૂચ જિલ્લા સમાહર્તા ગૌરાંગ મકવાણાએ શહેરના પડતર પ્રશ્નોને દૂર કરવા સાથે ભરૂચ શહેર – જિલ્લાને નવું સ્વરૂપ આપવા માટેના પ્રયાસો શરૂ કરાયાં છે. જેના ભાગરૂપે બૌડા દ્વારા ૪.૫૭ કરોડના ખર્ચે ઝાડેશ્વર ગામે આવેલાં તળાવ અને ગાર્ડનના અપગ્રેડેશન અને બ્યુટિફિકેશન માટેની પ્રક્રિયા હાથ ધરી છે. બૌડાએ તે માટે કુલ ૪.૫૭ કરોડની ફાળવણી કરી છે. ગુરુવારે જળસંપતિ અને પાણી પુરવઠા મંત્ર ઈશ્વર પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા, જંબુસર ધારાસભ્ય ડી. કે. સ્વામી તેમજ ઝઘડિયા ધારાસભ્ય રીતેષ વસાવા હાજર રહેશે.
નવા બનનારા તળાવ માટે સુરતના ભરત એન હીરપરાનું ૩.૬૨ કરોડનું ટેન્ડર પાસ થયું છે. જે આગામી ૧૧ મહિનામાં પુર્ણ કરવામાં આવશે. તળાવના બ્યુટિફિકેશનના ટેન્ડરમાં તળાવ પાસે વિશાળ અને સુગમ પાર્કિંગ, આરામદાયક વોકિંગ ટ્રેક, સાઉન્ડ સિસ્ટમ, આકર્ષક પ્રવેશ દ્વાર, યોગાસન કરવા યોગ ગાર્ડન, કલાત્મક સ્કલ્ચર ઝોન, સાંસ્કૃતિક કાર્યક્રમો માટે અમ્પિથિયેટર, સહિતની સહુલત આપવામાં આવશે. સાથે સાથે વૃદ્ધ સહિતના લોકો માટે સીટીંગ એરિયા, વડીલો માટે ગઝેબો, મહિલા-પુરૂષ માટે ઓપન જી. બાળકો માટે રમત ગમતના સાધનો, ૧૦ વર્ષથી નાના બાળકો માટે અલગ ઝોન, સ્કેટીંગ ઝોન તેમજ સહેલાણીઓ માટે ખાવા-પીવાની મિજબાની માટે ફૂડકોર્ટ શોપ્સનું પણ નિર્માણ કરાશે.
