પરિવારજનો ઘરને તાળું મારી દ્વારકા દેવદર્શને ગયાં હતાં
ભરૂચ.
ભરૂચના ધર્મનગર ટાઉનશીપ ખાતે રહેતાં શૈલેષ બાલકૃષ્ણ શાહ ઝઘડિયા જીઆઇડીસમાં આવેલી એક્ટિવ કેમિકલ્સ કંપનીમાં ભાગીદાર છે. ગત 4 ડિસેમ્બરના રોજ તેઓ તેમની પત્ની તેમજ અન્ય સગાસંબંધીઓ નંદ ટ્રાવેલ્સમાં દ્વારકા ખાતે દર્શન કરવા માટે ગયાં હતાં. ધાર્મિક પ્રવાસ કરીને તેઓ સવારના આઠેક વાગ્યે ઘરે પરત આવ્યાં હતાં. તેમણે ઘરે દરવાજો ખોલવા જતાં તેમના મેઇન દરવાજાનો નકુચો કાપેલી હાલમાં જણાયો હતો. તેમજ તાળું જણાયું નથી. દરવાજો ખુલ્લો હોઇ તેઓએ ઘરમાં જઇ જોતાં તેમના ઘરમાં તમામ સામાન વેરવિખેર પડેલો જણાયો હતો. તેમણે ઘરમાં તમામ સામાનની ચકાસણી કરતાં તસ્કરોએ તેમના ઘરમાંથી 4.82 લાખની મત્તાના સોનાના દાગીના ચોરી થયાં હોવાનું માલુમ પડયું હતું. બનાવને પગલે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
