Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં 72 માં પ્રજાસત્તાક પર્વની ગોધરા ખાતે ઉમંગભેર ઉજવણી…

Share

72 માં પ્રજાસત્તાક પર્વની પંચમહાલ જિલ્લામાં ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગોધરાના પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ગૃહ રાજ્યમંત્રીએ ગણતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે ભારતની આન, બાન, શાનના પ્રતીક સમો રાષ્ટ્રધ્વજ ફરકાવી, સલામી આપી ધ્વજવંદન કર્યુ હતું. સલામી આપ્યા બાદ મંત્રીએ પંચમહાલ પોલીસદળ, હોમગાર્ડ, એન.સી.સી. વગેરેના જવાનોની પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિતજનોને પ્રજસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવતા મંત્રીએ જણાવ્‍યું કે, ૧૯૫૦માં આજના શુભદિને જ આપણા ભારત દેશે પોતાનું આગવું બંધારણ સ્વીકારીને પ્રજાનું સુશાસન પ્રાપ્ત કર્યુ, તેનું ગૌરવ ગાવાનો અને ગરિમા જાળવવાનો આ આપણા સૌ માટે પવિત્ર દિવસ છે. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષ ચંદ્ર બોઝ અને શ્યામજીકૃષ્ણ વર્મા જેવા અનેક આઝાદીના લડવૈયાઓએ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું ત્યારે આપણને આ મહામૂલી સ્વતંત્રતા મળી છે ત્યારે તેને યાદ રાખીને દિવ્ય અને ભવ્ય ભારતના નિર્માણના સપનાને સાકાર કરવા આપણે સૌએ પ્રતિબદ્ધ બનવા મંત્રીએ સૌને હાકલ કરી હતી. દેશ માટે જીવન કુરબાન કરવાની તક તો આપણને મળી નથી પરંતુ તેને ભવ્ય બનાવવા માટે કામ કરવાની તક આપણને મળી છે ત્યારે આ તકનો લાભ લઈ આપણા રાજ્ય અને રાષ્ટ્રને દૈદિપ્યમાન બનાવવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેવા ઉપસ્થિત સૌને તેમણે આગ્રહ કર્યો હતો.

ભારતીય બંધારણની વિશેષતાઓ વર્ણવતા મંત્રીએ બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબનો આભાર માનતા વધુમાં ઉમેર્યુ કે ભારતીય સંસદીય લોકશાહી પ્રણાલી વિશ્વભરની લોકશાહીઓ માટે આદર્શ બની રહી છે. વર્ષો પહેલા ગુલામીની ઝંઝીરોમાંથી મુક્ત થવા આપણે એકતા દર્શાવી અંગ્રેજ સરકાર સામે લડત આપી હતી આજે ફરી એકવાર ગુજરાત સહિત સમગ્ર ભારત વર્ષે પોતાની એકતાના દર્શન દુનિયાને કરાવ્યા છે. કોરોના નામના અદ્રશ્ય દુશ્મનને હરાવવા ગુજરાતીઓએ એક બની મક્કમ મુકાબલો કર્યો છે. સૌના સહિયારા પુરુષાર્થથી જ ગુજરાતમાં આ મહામારીમાં ૯૬ ટકાથી પણ વધારે રિકવરી રેટ રહ્યો છે. આપણા દેશના વૈજ્ઞાનિકો પણ દુનિયાને રાહ ચીંધી રહ્યા છે, ભારતમાં બે સ્વદેશી રસીઓ વિકસાવવામાં આવી છે. રાજ્ય અને રાષ્ટ્રવાસીઓને કોરોના સામે સુરક્ષિત રાખવા સુવ્યવસ્થિત રસીકરણનું આયોજન કરવામાં આવ્યું છે તેમ જાડેજાએ ઉમેર્યુ હતું.

આ મહામારીના સમયમાં પણ લડત આપીને આપણે ઉત્તમથી સર્વોત્તમ તરફ પ્રયાણ કર્યું છે. ખેડૂતો, યુવાનો, મહિલાઓ, વંચિતો, ગરીબો સૌ કોઈના સર્વસમાવેશક વિકાસના આયામને લક્ષ્યમાં રાખી ગુજરાતની પ્રગતિ થઈ રહી છે. ગુજરાત અનેક ક્ષેત્રે પ્રથમ છે ત્યારે ગુજરાતની વિકાસયાત્રાને વધુ બળવત્તર બનાવવા અને ગુજરાતના ખૂણે ખૂણાના વિકાસ માટે હ્યદયપૂર્વક કટિબદ્ધ બની આગામી દિવસોમાં ગુજરાત અને દેશની આન, બાન તથા શાન જળવાઈ રહે અને દેશની પ્રતિષ્ઠાને આંચ ન આવે તે માટે ખભેખભા મિલાવી આગળ વધવા તેમણે અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં વર્ષ દરમિયાન ફરજ પર ઉત્કૃષ્ટ કામગીરી બજાવનાર તેમજ વિવિધ ક્ષેત્રોમાં વિશેષ પ્રદર્શન કરનાર-સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વ્યક્તિ વિશેષોનું સન્માન પણ મંત્રીના હસ્તે પ્રશસ્તિપત્રો અર્પણ કરીને કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લાની 09 પ્લાટુનના 186 જવાનોની શાનદાર પરેડ કમાન્ડર પી.એસ.આઈ. કે.એન. પરમારના નેતૃત્વ હેઠળ યોજાઈ હતી. પોલિસ બેન્ડની સુમધુર સુરાવલીઓ સાથે તાલ મિલાવતી પ્રભાવશાળી માર્ચ પાસ્ટને ઉપસ્થિત પ્રજાજનોએ હર્ષનાદથી વધાવી લીધી હતી. આ ઉપરાંત, બાઈકસવારોના અદભુત સ્ટંટે ઉપસ્થિત લોકોને રોમાંચિત કર્યા હતા. પોલીસ બેન્ડની સુરાવલીઓથી ગોધરા પોલિસ પરેડ ગ્રાઉન્ડ દેશ ભક્તિના રંગે રંગાયુ હતું. કાર્યક્રમ પૂર્ણ થયે મંત્રી સહિતના મહાનુભાવોએ પરિસરમાં વૃક્ષારોપણ કર્યુ હતું.

સમગ્ર જિલ્લામાં 72 માં પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે રોશનીથી અગત્યની દરેક સરકારી ઈમારતોને શણગારવામાં આવી હતી તેમજ આજે દરેક સરકારી કચેરીઓ, નગરપાલિકા, ગ્રામ પંચાયતો, સહકારી-સ્વૈચ્છિક સંસ્થાઓમાં તિરંગો લહેરાવી સલામી અપાઇ હતી.

પ્રજાસત્તાક પર્વની આ જિલ્લા કક્ષાની ઉજવણીમાં પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, માજી સાંસદ ગોપાલસિંહ સોલંકી, ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી, મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય નિમિષાબેન સુથાર, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજપાલસિંહ જાદવ, અશ્વિનભાઈ પટેલ સહિતના અગ્રણીઓ તેમજ ડિ.આઈ.જી.પી એમ.એસ. ભરાડા, જિલ્લા કલેક્ટર અમિત અરોરા, જિલ્લા પોલિસ વડા ડો. લીના પાટિલ, નાયબ વન સંરક્ષક એમ. મીણા, નિવાસી અધિક કલેક્ટર એલ. બાંભણિયા સહિતના વરિષ્ઠ અધિકારીઓ-જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના પદાધિકારીઓ, મહાનુભાવોએ સહભાગી થયા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

માંગરોળના લુવારા ગામે એલ.સી.બી ની ટીમે રેડ કરી 11 જુગારીને ઝડપી પાડયા

ProudOfGujarat

અંકલેશ્વરમાં આવેલ જીઆઇએલ કંપનીમાં કામદારનું રહસ્યમય મોત થતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લખતર એપીએમસી માં 12 દિવસ માં 50,000 મણ કપાસની હરાજી થઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!