Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળામાં હરસિદ્ધિ માતાના મંદિરે નવરાત્રિ પર્વે નવ દિવસ મેળો ભરાશે.

Share

રાજપીપળા ખાતે આજથી નવરાત્રી પર્વનો પ્રારંભ થયો છે. બે વર્ષથી કોરોના સંકટને કારણે ગરબા અને નવ દિવસનો મેળો બંધ રહ્યો હતો પણ આ વર્ષે સરકારે 12 વાગ્યાં સુધી ગરબા રમવાની પરમિશન મળી ત્યારે હરસિધ્ધિ માતાના મંદિરે આજથી નવ દિવસ નવરાત્રિ મેળાનો પ્રારંભ થયો છે. માં હરસિધ્ધિ રાજવી પરિવારની કુળદેવી ગણાય છે. આ મન્દિરનો પ્રાચીન ઇતિહાસ પ્રચલિત છે. રાજપીપળા એ રાજવીઓની નગરી અને એક ઐતિહાસિક રાજા વેરીશાલજીની નગરી તરીકે પણ ઓળખાય છે. અહીં મા હરસિદ્ધિનું મંદિર વૈરીશાલજી મહારાજે પહેલા બંધાવ્યું હતું.
 
રાજપીપળાની ગાદી પર બિરાજમાન 25 મા વારસદાર ગોહિલવંશી છત્રસાલજી મહારાજના પુત્ર વેરીશાલજી મહારાજ જ્યારે તેમના માતા-પિતા જોડે ઉજ્જૈન હરસિદ્ધિ માતાજીના દર્શન કરવા માટે ગયા હતા ત્યારે તેમને એમ થયું હતું કે આ માતાજીને જો વિક્રમાદિત્યા રાજા પોતાના નગરમાં લાવી શકતા હોય તો હું પણ માતાજીને મારા નગર રાજપીપળામાં કેમ ન લઈ જઈ શકું.
 
આ વિચાર જ્યારે તેમને આવ્યો ત્યારે તેમની ઉંમર માત્ર 12 વર્ષની જ હતી. જ્યારે વેરીશાલજી 22 વર્ષના થયા ત્યારે તેમના પિતાનું અવસાન થયું. અને તેમનું રાજતિલક કરવામાં આવ્યું. રાજતિલક થયા બાદ પણ રાજા માતાજીની ઉપાસના અને અર્ચના કરતા હતા. થોડા દિવસો બાદ રાજાને સ્વપ્નમાં આવી માતાજીએ ક્હ્યું કે જો તારે મને તારા નગરમાં લાવવી હોય તો હું તારી સાથે આવીશ.
 
રાજાએ તરત જ ઉજ્જૈન જવાનું નક્કી કર્યું અને રાજા માતાજીમાં મંદિરમાં પહોંચીને પૂજા-વિધિ કરવા લાગ્યા ત્યારે તે સમયે જ માતાજીનું કંકુ લેવાનું ભૂલી ગયા અને તેમણે કટારથી તેમની આંગળી કાપીને માતાજીને તિલક કર્યું. આ વાતથી માતાજી પ્રસન્ન થયાં અને કહ્યું હું તારી સાથે તારા નગરમાં આવું પરંતુ મારી એક શરત છે, જે તારે માનવી પડશે. રાજાએ કહ્યું, ભલે માતાજીએ તેમની શરત કહી કે મારી સાથે અહીં બેઠેલા બીજા દેવો પણ આવશે. જેને તારે સ્થાન આપીને એમનું મંદિર બનાવવું પડશે. રાજાએ શરત માની લીધી. પછી માતાજીએ કહ્યું કે, તું ઘોડા પર ચડીને આગળ જા હું તારી પાછળ આવું છું અને તું જ્યાં પાછળ વળીને જોઈશ ત્યારે હું તે જગ્યાને મારું સ્થાનક માનીને તે જગ્યા પર સ્થાન ગ્રહણ કરીશ.
 
રાજા ઘોડા પર બેસીને રાજપીપળા તરફ રવાના થયો. માત્ર 3 કલાકમાં જ માતાજી કૃપાથી ઉજ્જૈનથી રાજપીપળા પહોંચ્યા. નગર આવતા તેને થયું કે માતાજી આવે છે, કે નહીં લાવ જરા નજર કરું. ત્યારે માતાજીએ તે જગ્યાને સ્થાન ગ્રહણ કર્યું અને રાજાએ ત્યાં જ માતાજીનું ભવ્ય મંદિર નિર્માણ કરાવ્યું હતું. 
 
શ્રી હરસિદ્ધિ માતાજીનુ મંદિર રાજપીપળા સ્ટેટના રાજવી વેરીશાલજી મહારાજે ઇ.સ 1657 માં રાજપીપળા નગરમાં બંધાવ્યું હતું. કહેવાય છે, કે આ મંદિરમાં માતાજી સ્વયં સ્થાપિત થયા હતા. અહીં માતાજી ચાર સૈકા ઓથી બિરાજમાન છે. આ મંદિરમાં શક્તિ સ્તંભ પણ આવેલો છે, જ્યારે મંદિરનું નિર્માણ થયું ત્યારે જ અહીં આ શક્તિ સ્તંભની સ્થાપના કરવામાં આવી હતી.
 
હવે જ્યારે જૂનો સ્તંભ જર્જરિત હોવાથી મંદિર પ્રશાસન દ્વારા અહીં બીજો નવો શક્તિ સ્તંભ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ મંદિરની પાસે મહાકાળેશ્વર મહાદેવનું મંદિર, વીર વૈતાળનું મંદિર તેમજ બાલાપીરની દરગાહ પણ રાજાએ બંધાવી છે. ત્યારબાદ ઇ.સ 1660 માં નંદપુર ગામમાં નંદકેશ્વર મહાદેવનું મંદિર પણ વેરીશાલજી મહારાજે બંધાવ્યું હતું.

દીપક જગતાપ,રાજપીપળા

Advertisement

Share

Related posts

ઝઘડીયાનાં રાણીપુરા ગામે ગાયો ચરાવતા ગોવાળે શાળા કર્મચારી પર ધારીયાથી હુમલો કર્યો.

ProudOfGujarat

ભારતીય હવામાન વિભાગની આગાહી સંદર્ભે ઝીરો કેઝયુઅલ્ટીના નિર્ધાર સાથે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

ProudOfGujarat

નેત્રંગના હાથાકુંડી ગામની સીમમાં જુગાર રમતાં 8 શખ્સો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!