Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફલેમ ઓફ ફોરેસ્ટ કેશુડા ટુર શરૂ થશે

Share

ભારતવર્ષના સ્વપ્નદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પરીકલ્પના સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વકક્ષાનું પ્રવાસનધામ બન્યુ છે.અત્યારસુધી દેશ-વિદેશના 1 કરોડ કરતા વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચુકયા છે. એકતાનગર વિસ્તાર કેસુડાના લગભગ ૬૫,૦૦૦ વૃક્ષથી સમૃધ્ધ છે અને વસંતઋતુના આગમન સાથે કેસુડાના ફૂલોની ચાદર છવાઇ જતા સમગ્ર વિસ્તારનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઊઠે છે,માટે જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટુરની શરૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કેસુડા! ભાગ્યે જ કોઇ હશે જે આ નામથી અજાણ હશે. સંસ્કૃતમાં કિંશુક તરીકે ઓળખાતું આ વૃક્ષ ખાખરો અને પલાશ જેવા નામોથી પણ પ્રચલિત છે. કેશુડો એ સમગ્ર ભારતવર્ષના વનવગડાનું અતિ સામાન્ય પણ તેમ છતા અતિ વિશિષ્ટ અંગ છે. ગરમીની શરૂઆત અને વસંતઋતુના આગમન થતાની સાથે જ જ્યાં ચારે બાજુ પાનખર ઋતુની વચ્ચે જ્યાં સુકાયેલા વૃક્ષો વચ્ચે કેશુડાના વૃક્ષો પર પુષ્પો ખીલે છે. કેસરી કલરના ફૂલો આપણા મનને શાંતિ આપે છે. સાથે આ સમય દરમ્યાન વન વિસ્તારનું વાતવરણ સોળેકળાએ ખીલી ઉઠે છે. તેથી જ તો કેશુડાના સોંદર્યનું મોહક વર્ણન સાહિત્યો અને કાવ્યોમાં ખુબ જ કરવામાં આવ્યુ છે.

કેશુડા ટુર માટે અલગ-અલગ ત્રણ રૂટ તૈયાર કરવામાં આવેલ છે. અને પ્રવાસીઓ કુદરતની વચ્ચે જઇને કેશુડાની સાથે સાથે વિંધ્યાચલ પર્વતમાળામાં રહેલ અમુલ્ય વન્ય વારસાને માણી શકશે. પ્રવાસીઓને બસમાં શ્રેષ્ઠ ભારત ભવનથી વિંધ્યાચલમાં ફેલાયેલા ભવ્ય અને પ્રાચીન જંગલમાં લઈ જવામાં આવશે, જે પલાશનાં ગાઢ જંગલો ધરાવે છે. તેઓ પરાગરજની ચમત્કારિક દુનિયા અને કેસુડાના ફૂલો સાથેના તેમના જોડાણને જોતા-જોતા ખીણો અને કોતરો સાથે લગભગ ૩-૪ કિમી સુધી ટ્રેક કરશે. ટ્રેકીંગ પછી પ્રવાસીઓને ખલવાણી ઇકોટુરિઝમ સાઇટની મુલાકાત કરાવવામાં આવશે. પ્રવાસનો સમય સવારે ૦૭ થી ૧૦ અને સાંજે ૦૪ થી ૦૭ રાખેલ છે. મુલાકાતીઓ તેમની અનુકૂળતા મુજબ સ્લોટ બુક કરાવી શકે છે. ટિકિટ www.soutickets.in પરથી ઓનલાઇન બુક કરી શકાય છે.

કેસુડાનુ આ વૃક્ષ અગ્નિનું પ્રતીક હોવાનું મનાય છે. દેવતાઓની પૂજામાં પણ તેનાં પુષ્પોનો ઉપયોગ થતો હોય છે. તેના પાંદડાંમાંથી પતરાળાં અને વાટકી બનાવવામાં આવે છે. રંગોનો તહેવાર “ધૂળેટી” માં તેના ફૂલોનાં રંગ વાપરવાની વર્ષો જુની પરંપરા છે. તેનાં ફૂલોને પાણીમાં નાખીને તેનાથી ધૂળેટી પણ રમવામાં આવે છે. તેનાં ફૂલના રંગ વડે “ગુલાલ” પણ બનાવવામાં આવે છે. ભારતમાં, આ વૃક્ષ વસંત ઋતુ સાથે સંકળાયેલું છે. દક્ષિણ ભારતમાં આ વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે અને તેના લાકડાનો ઉપયોગ હિંદુ યજ્ઞવિધિઓમાં થાય છે. એ ઉપરાંત ઔષધીય ગુણો આ એક મહત્વનું ઔષધિય વૃક્ષ છે અને તેના જુદા જુદા ભાગોનો ઉપયોગ પરંપરાગત દવા પદ્ધતિ જેમ કે આયુર્વેદ, સિદ્ધ અને યુનાનીમાં વિવિધ રોગોની સારવાર માટે થાય છે.કેસૂડાના ફૂલથી બાળકને સ્નાન કરાવવામાં આવે છે. નવજાત બાળક માટે શ્રેષ્ઠ ઔષધ છે. કેસૂડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી બાળકને સ્નાન કરાવવાથી ઓરી અછબડા લૂ અને ગરમીના રોગથી રક્ષણ મળે છે.

Advertisement

આકરા ઉનાળાના પ્રારંભને કેસુડાના ફૂલ રમ્ય અને સહ્ય બનાવે છે. સફેદ કેસુડા પણ થાય છે જે ખૂબ જૂજ જોવા મળે છે.કેસુડાના ફૂલ પાણીમાં નાંખીને સ્નાન કરવાથી ઠંડક મળે છે અને ચામડી માટે પણ તે ઔષધ રૂપ બને છે. મધ્ય ગુજરાતના નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદના જંગલોમાં તેની બહુતાયત છે. મોંઘા કેસરથી કરવામાં આવતા સ્નાનની અહલાદકતાની અનુભૂતિ કેસુડાના પાણી સાવ સસ્તામાં કરાવે છે.આદિવાસી સમુદાય હવે હોળીના તહેવારોના ટાણે શહેરી સડકો પર કેસુડાના ફૂલો વેચીને આછી પાતળી પૂરક આવક મેળવે છે. આ સફરમાં પ્રવાસીઓ સાથે નિષ્ણાંત વનકર્મીઓ અને તાલીમબદ્ધ ભોમિયા( ગાઈડ )હશે જેઓ કુદરતની રચના અને સમૃદ્ધ વનનો પરિચય કરાવશે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

મલ્ટિપલ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઝઘડીયા સ્થિત GIDC માં ૫૦૦ અનાજની કીટનું દાન આપવામાં આવ્યું

ProudOfGujarat

નર્મદા : ગરૂડેશ્વર તાલુકાના સમશેરપુરા ગામે પત્નીની હત્યા કરનાર પતિને ૧૦ વર્ષની સજા.

ProudOfGujarat

પેટ્રોલના ભાવ આસમાને : ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં જંગી વધારો : જાણો જૂન મહિનાની સ્થિતિ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!