Proud of Gujarat
GujaratFeaturedINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આદિવાસીઓ પર જુલ્મ,મોદીને હાય લાગશે:ડો.પ્રફુલ્લ વસાવા

Share

 

*વિશાલ મિસ્ત્રી રાજપીપળા*:ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 182 મીટરની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું 31મી ઓક્ટોબરે લોકાર્પણ કરવાના છે.એક તરફ પીએમ મોદી લોકાર્પણ કરે એ પેહલા જ નર્મદા ડેમના અસરગ્રસ્તો અને આદિવાસી સમાજે પોતાની વિવિધ માંગણીઓ મુદ્દે આંદોલન છેડયું છે.ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પેહલા જ સરકારે નર્મદા ડેમ અસરગ્રસ્તોની વિવિધ માંગણીઓ સ્વીકારી લીધી હતી.અને સરકારની એ માંગણીઓથી પોતે સંતુષ્ટ હોવાનું તથા 31મી એ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણના દિવસે કોઈ વિરોધ નહિ કરે એવું નર્મદા ડેમ અસરગ્રસ્તોના આગેવાનોએ માજી વન મંત્રી શબ્દશરણ તડવી,નર્મદા જિલ્લા કલેકટર આર.એસ.નિનામા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં નિવેદન પણ આપ્યું હતું.તો બીજી બાજુ જો સરકારે માંગણીઓ સ્વીકારી હોય તો એના પુરાવા રજૂ કરવાની માંગ અસરગ્રસ્તોના બીજા જૂથે જિલ્લા કલેકટરને લેખિતમાં કરી છે.સમગ્ર આદિવાસી સમાજે પોતાની માંગણીઓ મુદ્દે 31મી ઓક્ટોબરે ગુજરાતના આદિવાસી પટ્ટાઓમાં વિરોધ અને જલદ આંદોલન કરવા મક્કમતા દર્શાવી છે તો બીજી બાજુ નાંદોદના કુંવરપુરા ગ્રામપંચાયતના યુવાન સરપંચ નિરંજન વસાવાએ ગુરુવારે આદિવાસીઓની એક બેઠક બોલાવી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ ન કરવા સમજણ આપી હતી.આ બેઠકમાં એમણે એમ પણ જણાવ્યું હતું કે આ લોકાર્પણનો વિરોધ આદિવાસીઓનું અહિત ઇચ્છતા અમુક વિઘ્નસંતોષીઓ પોતાના સ્વાર્થ ખાતર કરાવી રહ્યા છે.નિરંજન વસાવાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આદિવાદીઓ વિરોધ કેમ ન કરે એ સમજાવતી એક પત્રિકા પણ ફરતી કરી છે.હવે આ જોતા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ વિરોધ મુદ્દે નર્મદા ડેમ અસરગ્રસ્તો અને આદિવાસીઓમાં ઉભી તિરાડ પડી હોવાનું પણ જિલ્લામાં ચર્ચાઈ રહ્યું છે.

Advertisement

*સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને સફળ બનાવવા અસરગ્રસ્તોને લોલીપોપ:બહાદુર વસાવા*
નર્મદા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન બહાદુર વસાવાએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ સફળ બનાવવા સરકારે અસરગ્રસ્તોને માંગણી પુરી કર્યાની માત્ર લોલીપોપ આપી છે.જો સરકારે ખરેખર અસરગ્રસ્તોની માંગણીઓ સંતોષી હોય તો સરકારી લેટર પેડ પર અસરગ્રસ્તોને બાંહેધરી કેમ ન આપી.કુંવરપુરા સરપંચે કરેલી બેઠક ભાજપ પ્રેરિત હતી.ભાજપ આદિવાસીઓમાં બે ભાગલા પાડી આંદોલન તોડવા માંગે છે.31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થઈ ગયા પછી અસરગ્રસ્તો અને આદિવાસીઓના પ્રશ્નો લટકતા જ રહેવાના છે.કુંવરપુરા સરપંચ નિરંજન વસાવા ભાજપની કઠપૂતળી બની આદિવાસી સમાજને દગો આપવાનું કામ કરે છે.નર્મદા જિલ્લાનું વહીવટીતંત્ર પણ ભાજપના ઈશારે જ કામ કરે છે.ગુજરાતનો આદિવાસી સમાજ આ બધું સમજે છે,31મી એ અમારે જે કરવાનું છે એ તો અમે કરીને જ રહીશું.

*જીકુ તડવીને જ ગુજરાત સરકારે ખોટો અસરગ્રસ્ત જાહેર કર્યો હતો:ડો.પ્રફુલ્લ વસાવા*
ડો.પ્રફુલ્લ વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જીકુ તડવીની આગેવાનીમાં અસરગ્રસ્તોને પારણા કરાવ્યા બાદ પણ એમની માંગણીઓ મુદ્દે કાઈ થયું ન હતું.હવે એ જ જીકુ તડવીને ગુજરાત સરકારે ખોટો અસરગ્રસ્ત જાહેર કર્યો હતો એમની જ આગેવાનીમાં સરકારે પારણા કરાવ્યા હતા.જેણે તે સમયે પારણા કર્યા હતા એ લોકો ખરેખર સરકાર સાથે છે પણ અસરગ્રસ્તોની સાથે નથી.13 ગામોના અસરગ્રસ્તો અત્યારે પણ પોતાની માંગણીઓ મુદ્દે મક્કમ છે.એ તમામ લોકો આંદોલનમાં અમારી સાથે જ છે.તેમણે ગુરુવારે જિલ્લા કલેકટર પાસે સરકારે જો માંગણીઓ પુરી કરી હોય તો એના પુરાવાઓ માંગ્યા હતા.ખરી અસરગ્રસ્તોની લડાઈ તો એ લોકો લડે છે.

*જો અમારી માંગણીઓ પુરી નહિ થાય તો 31મી પછી અમે રસ્તા રોકો આંદોલન કરીશું:એક અસરગ્રસ્તએ જિલ્લા કલેકટરને જાહેરમાં કહ્યું*
ગુજરાત સરકારે નર્મદા ડેમ અસરગ્રસ્તોની માંગણીઓ પુરી કરી એની માહિતી આપવા નર્મદા કલેકટરે 23મી ઓક્ટોબરે કેવડિયા ખાતે એક પત્રકાર પરિષદ રાખી હતી.ત્યારે ત્યાં હાજર એક અસરગ્રસ્તએ નર્મદા કલેકટરને માજી વનમંત્રી શબ્દશરણ તડવી,જિલ્લા પોલીસ વડા સહિત અનેક ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ જાહેરમાં જ એમ કહ્યું હતું કે જો અમારી માંગણીઓ પુરી નહિ થાય તો 31મી ઓક્ટોબર પછી અમે રસ્તા રોકો સહિત અનેક જલદ આંદોલનો કરતા અચકાશું નહિ.
*સરદાર પટેલના વારસદારો જો સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણમાં આવશે તો આદિવાસીઓના વિરોધનો ભોગ બનશે:ડો.પ્રફુલ્લ વસાવાનો સરદાર પટેલના વંશજોને ખુલ્લો પત્ર*
ઈંડિજીનસ આર્મી ઓફ ઇન્ડિયાના સંસ્થાપક અને આદિવાસી નેતા ડો.પ્રફુલ્લ વસાવાએ સરદાર પટેલના વારસદારોને એક ખુલ્લો પત્ર પણ લખ્યો છે જેમાં જણાવ્યું છે કે “સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ માત્ર નરેન્દ્ર મોદીની લોકચાહના સ્વાર્થ ભાવના માટે જ બની છે.સરદાર વલ્લભભાઈ પટેલનો ઉપયોગ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે હજારો આદિવાસીઓની આંખોમા આંસુ લાવી આ મુર્તી બની છે.જેની હાય નરેન્દ્ર મોદીને લાગશે અને તેઓ 2019 મા હવે વડાપ્રધાન નહીં બની શકે.સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે ભાજપ સરકારના મંત્રીઓ અને તેમના મળતિયાઓ આદિવાસીઓની જમીનો પચાવીને બેઠા છે.તેમને સરદાર પટેલ સાહેબની પ્રતિમાને આગળ ધરી ઉધોગપતિઓના હાથે આદિવાસી વિસ્તારને લુટવા માટે જ સરદાર વલ્લભભાઈ પટેલને આગળ કર્યા છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે ત્યાંના આદિવાસીઓ પર અસહ્ય જુલ્મો થયા છે.સરદાર વલ્લભભાઈ પટેલની આત્મા પણ આ બધું જોઈ ને દુઃખી હશે આથી આદિવાસી સમાજની સરદાર વલ્લભભાઈ પટેલના વંશજોને નમ્ર અપિલ છે કે તમે આ પાપમા ભાગીદાર ના બનો.જો આપ 31 ઓક્ટોબરના રોજ કાર્યક્રમમા આવશો તો આદિવાસીઓના વિરોધ પ્રદર્શનનો સામનો કરશો જે આદિવાસી સમાજને નહીં ગમે જેથી આપ નહીં આવો”


Share

Related posts

રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત કેવડીયા કોલોની ખાતે 0 થી ૫ વર્ષના બાળકોને પોલિયોને રસીના ટીપાં પીવડાવ્યા

ProudOfGujarat

અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 9 માં ડ્રેનેજનું કામ નહિ થતા વિપક્ષના ઉપનેતા શરીફ કાનુગા દ્વારા ચીફ ઓફિસરને ખુલ્લો પત્ર લખ્યો છે.

ProudOfGujarat

વડોદરાનાં 3000 તબીબોનો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ICU રાખવાનો પ્રચંડ વિરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!