Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : આયુષ્યની સદી ફટકારનારા શતાયુ મતદાર સવિતાબા મતદાન કરવા ઉત્સુક.

Share

વડોદરા શહેર અને જિલ્લામાં યોજાનારી વિધાનસભાની બેઠકોની સામાન્ય ચૂંટણીને લઇ સૌ મતદારો મતદાન કરવા માટે ભારે ઉત્સુક છે. એક તરફ યુવા પેઢી લોકશાહીના આ મહાઉત્સવને મનાવવા માટે થનગની રહી છે તો બીજી તરફ શતાયુ મતદારો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉત્સાહ દાખવી રહ્યા છે. આવા એક શતાયુ મતદાર છે સવિતા બા ! આયુષ્યની સેન્ચુયરી વટાવી દીધા બાદ તેઓ આ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે જવાના છે.

૧૯૨૨ના ઓક્ટોબર મહિનાની ૬ તારીખે ભરૂચ જિલ્લાના આમોદમાં જન્મેલા અને ૧૦૦ વર્ષની ઉંમરને આવજો કહીને ૧૦૧ માં વર્ષમાં પ્રવેશેલા સવિતાબેન મંગળદાસ શાહે પોતાનું બાળપણ આમોદમાં વિતાવ્યું હતું. સવિતા બાએ ધોરણ ૭ સુધી જ અભ્યાસ કર્યો હોવા છતાં તેઓ ખુબ ઉત્સાહી, કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત રહે છે. ભરતગુંથણ એ તેમનું ગમતું કામ હતું. પોતાનું કામ જાતે જ કરવું એમ કહેનાર સવિતાબેન આજેય શાકભાજી સમારવું, સમાચારપત્ર વાંચવું, કસરત કરવી અન્યને કોઈ ને કોઈ પ્રકારે મદદરૂપ બનવાની શુભ ભાવના રાખનાર સવિતાબાને પરિવારમાં ૨ દીકરીઓ છે. તેમના પતિનું ૭૦ વર્ષ પહેલાં અવસાન થયું હોવાથી તેઓ ૧૯૭૦ થી તેમની દીકરીના ઘરે વડોદરા શિફ્ટ થઇ ગયા હતા.

સવિતાબાને તેમની ફિટનેસ બાબતે પૂછવામાં આવતાં તેઓ જણાવે છે કે,જેમ બને તેમ ઘરનું અને સાદું ભોજન ગ્રહણ કરવું. અત્યારે તેઓ આખા દિવસની દિનચર્યામાં ફકત ૧ ભાખરી, ૧ રોટલી, શ્રીખંડ, આઈસ્ક્રીમ, મગની દાળ આરોગે છે. સવિતાબાને મીઠી વાનગીઓમાં શ્રીખંડ, કાજુકતરી અને ટોપરાપાક ભાવે છે. હા, અહીં એક વાત કહેવી ખૂટે કે મીઠી વાનગીઓ ખાવા છતાંય તેમને ડાયાબિટીસ કે અન્ય કોઈપણ પ્રકારનો રોગ નખમાંય નથી. તેઓ આજે પણ દરરોજ સવારે વહેલા ઉઠીને પોતાનાથી બનતી બધીય કસરત કરે છે, અને વહેલા સુઈ જવાનો આગ્રહ રાખે છે. સવારના પહોરમાં એઓ ફકત અને ફકત ચા પીવે છે. દરરોજ નાના મોટા કોઈપણ કામમાં વ્યસ્ત રહેવું અને કસરત કરવી એ તેમનો જીવનમંત્ર બની ગયો છે.

Advertisement

સવિતાબા આજેય સ્વાસ્થ્યની બાબતમાં અત્યારના ૪૦ થી વધુની ઉંમરનાયને શરમાવે તેવા એક્ટિવ તેમજ પોતાનું દરેક કામ જાતે જ કરે છે. અત્યાર સુધી સવિતા બા એ ક્યારેય બીમાર પડવાનું નામ નથી લીધું. ડૉક્ટર પણ એમની આ ફિટનેસ થી ચકિત છે. ઉંમરમાં સદી વટાવ્યા પછી પણ એમના દાંત હજીય છે જેથી કરીને તેઓ રોટલી કે ભાખરી આજેય ખાવામાં – ચાવવામાં સક્ષમ છે. આજના સમયમાં જયારે નાનાં બાળકોનેય આંખના ચશ્મા આવી જતા હોય છે જયારે સવિતાબાની આંખો હજીપણ સમાચારપત્ર વાંચી શકે છે એટલી સક્ષમ છે તો કાન પણ એટલા સતેજ !

સવિતાબા તેમનો બાળપણનો એક કિસ્સો સંભળાવતાં આનંદિત થઇ ગયા અને કહ્યું કે, હું જયારે ભરૂચમાં ધોરણ ૪ માં ભણતી હતી ત્યારે ગાંધીજી અમારી સ્કૂલની મૂલાકાતે આવ્યા હતા. ગાંધીજીએ મારી બાજુમાં બેસીને મને પૂછ્યું હતું કે, “કેવા કપડાં પહેરવાં? ” તો મેં કીધું’તું કે ખાદીના. ત્યારે તેઓએ ખુશ થઈને મારી પીઠ થાબડીને મને શાબાશી આપી હતી.અને બધાંએ મારા માટે તાળીઓ પાડી હતી.”

વધુમાં તેઓ જણાવે છે કે, આ પ્રસંગ પછી મારી બેનપણીઓ પણ કહેવા લાગી કે અમારો તો તારી આગળ કોઈ ક્લાસ નઈ. તને તો ગાંધી બાપુએ શાબાશી આપી. આ ઉપરાંત ભરૂચના ગોલ્ડન બ્રિજના ઓપનિંગ કાર્યક્રમ વખતે સવિતાબાએ તે સમયે ગરબા કર્યા હતા. સવિતા બાએ કહ્યું કે, દાંડિયાત્રા પણ અમે રહેતા ત્યાંથી એટલે કે દારૂપટેલની ખડકી પાસેથી પસાર થઈ હતી.

આમ સવિતાબાની ઉંમરની સાથોસાથ તેમની અન્યને મદદ કરવાની ભાવના, અન્યને પોતાના કરવાની અંતરેચ્છા અને બધાંયને પોતાના કરી લેવાની ધગશ પણ વધતી ગઈ. જ્યારે તેઓ અમેરિકા અને કેનેડા સંબંધીને ત્યાં જતા ત્યારે ત્યાં પણ તેમના મીઠા સ્વભાવથી ત્યાંના અંગ્રેજી ભાષીઓને પોતાના કરી મિત્રતા કરી દેતા. ત્યાં તેમની એલીઝાબેથ નામની ખાસ મિત્ર હતી. બન્નેને એકબીજાની ભાષા આવડતી ન હોવા છતાંય તેઓ સાથે સમય પસાર કરતાં હતા. ભાષાનો અર્થ અને વ્યવહારના સમજની આપ લે કરતાં હતા. એમના પરિવારજનોનું કહેવું છે કે, તેઓ મીઠુ ખાય તો છે જ પણ એમનો સ્વભાવ પણ એટલો જ મીઠડો છે જે ક્યારેય ઊણો ઉતર્યો નથી.

સવિતા બાના દીકરી યોગીનીબેન શાહની પુત્રવધુ એવા શ્રીમતી મેઘના શાહ જણાવે છે કે,અત્યારે પણ તેઓ સવારે વહેલા ઉઠીને પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત રહે છે. બા ધાર્મિક પુસ્તકો જોડે રાખતા હોય છે અને એનું મનન ચિંતન પણ કરતાં રહે છે. રુદ્રાક્ષની માળા ખાલી સમયમાં તેમની સાથી હોય છે.વાર મુજબની પ્રાર્થના કરવી અને અન્ય ના સારા માટે પ્રાર્થના કરવી એ એમનો સરળ સ્વભાવ છે.એમનું આ શિડ્યુલ અત્યાર સુધી ક્યારેય પણ ખોરવાયું નથી.એમના હસમુખા અને મીઠા સ્વભાવને લીધે એમનો આખો પરિવાર હંમેશા ખુશ રહે છે.કોઈ પણ જગ્યાએ કે કોઈ પણ લોકો અને કોઈ પણ સંસ્કૃતિ સાથે ભળી જવાનું બા માટે એમના સ્વભાવ જેટલું જ સરળ છે.

સવિતાબાએ અત્યાર સુધીની દરેક ચૂંટણીમાં સળંગ પોતાનો મત આપ્યો છે.આ વખતે ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણીમાં પણ તેઓ પોતાનો અમૂલ્ય મત આપવા માટે તૈયારી બતાવે છે.ચૂંટણી બાબતે તેઓ કહે છે કે,” મત તો દરેકે આપવો જોઈએ. એ આપણી ફરજ છે.”


Share

Related posts

લીંબડીના મોટાટીંબલા ગામે સેવાસેતુ યોજાયો જેમાં અલગ અલગ અરજીનો નિકાલ થયો

ProudOfGujarat

અયોધ્યામાં નિર્માણ થનારા ભવ્ય રામમંદિર માટે ગોધરાથી જળ-માટી મોકલવામાં આવ્યા.

ProudOfGujarat

નડિયાદ : એક્સપ્રેસ હાઈવે પર કારનું ટાયર ફાટતાં મદદે આવેલ વ્યક્તિનું અન્ય વાહનની ટક્કરે મોત નીપજયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!