Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની ૧૦ બેઠકો ઉપર શાંતિપૂર્ણ મતદાન કરાવવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ.

Share

વડોદરા શહેર અને જિલ્લામાં આવેલી વિધાનસભાની ૧૦ બેઠકો ઉપર આગામી તા. ૫ ડિસેમ્બરના રોજ યોજાનારા મતદાનમાં નાગરિકોની ભાગીદારી વધે તે માટે સતત પ્રયત્નશીલ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હવે તેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, તે સંદર્ભમાં જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોરે જણાવ્યું કે, વડોદરા શહેર અને જિલ્લાની ૧૦ વિધાનસભા બેઠકોની મુક્ત અને ન્યાયી, નિષ્પક્ષ ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ છે. આ ચૂંટણીમાં ૨૫૯૦ મતદાન મથકો પૈકી અડધા એટલે કે, ૧૩૩૦ જેટલા મતદાન મથકોનું લાઇવ વેબ કાસ્ટિંગ કરવામાં આવશે, જેના ઉપર સતત નજર રાખવામાં આવશે.

કલેક્ટરએ જણાવ્યું કે, આવતીકાલ તા. ૪ ને રવિવારે શહેર અને જિલ્લાના ૧૦ નિયત રવાનગી કેન્દ્રો ખાતેથી મતદાન મથકો ખાતે મતદાન સામગ્રી સાથે ચૂંટણીકર્મીઓને વાહનોમાં રવાના કરવામાં આવશે. આ વાહનોને જીપીએસ સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યા છે.

Advertisement

સમુહ માધ્યમો સાથે વાત કરતા અતુલ ગોરે ઉમેર્યું કે, શહેર અને જિલ્લામાં ૧૧૯૦ જેટલા મતદાન મથકો સંવેદનશીલ નિયત કરવામાં આવ્યા છે. આ તમામ મતદાન મથકો ખાતે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની ટૂકડી તહેનાત કરવામાં આવશે. એક સ્થળે ત્રણથી વધુ મતદાન મથકો ધરાવતા બૂથ ઉપર સીઆરપીએફના જવાનોનું સુરક્ષા ચક્ર રહેશે. મતદાન દરમિયાન કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે શહેર તથા જિલ્લામાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

તેમણે ઉમેર્યું કે, મતદારો ચૂંટણી ઓળખકાર્ડ અથવા તો ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયત કરાયેલા ૧૨ પૈકી કોઇ એક ઓળખકાર્ડ અસલમાં સાથે રાખીને મતદાન કરી શકશે. તેમણે એવું પણ સ્પષ્ટ કર્યું કે, મતદારોને આપવામાં આવેલી મતદાર માહિતી કાપલી એ માત્ર મતદાન મથકની જાણ અને મતદાનની સરળતા માટે છે. તે મતદારના ઓળખનો પૂરાવો નથી. તેના આધારે મતદાન કરી શકાશે નહીં.

અતુલ ગોરે જણાવ્યું કે, મતદાનના દિવસે સગર્ભાઓ, ૮૦ થી વધુની આયુ ધરાવતા વૃદ્ધો, દિવ્યાંગોને મતદાનમાં સરળતા રહે તે માટે અગ્રતા આપવામાં આવશે. આવા મતદારો માટે ખાસ વાહનની વ્યવસ્થા તેમની વિનંતીના આધારે કરવામાં આવી છે. મતદાન મથકમાં મોબાઇલ સાથે પ્રવેશની મનાઇ રહેશે. મતદાર પોતાનો મોબાઇલ ફોન બહાર રાખીને આવે તે અનિવાર્ય છે. મતદાનના દિવસે ઔદ્યોગિક, વ્યાપારી એકમો અને અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા શ્રમયોગીઓને મતદાન કરવા માટે સવેતન રજા આપવાની રહે છે.

ચૂંટણીલક્ષી બાબતો માટે કલેક્ટર કચેરીમાં એક ખાસ નિયંત્રણ કક્ષ શરૂ કરવામાં આવ્યો છે. તેનો ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૩૩૩૦૩૮ છે. તેના ઉપર કોઇ પણ નાગરિક ફોન કરી શકે છે.

આ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ, અધિક કલેક્ટર સુશ્રી મિતા જોશી, સંયુક્ત માહિતી નિયામક રાજેન્દ્ર રાઠોડ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષવર્ધનસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સ્વર્ગીય અહેમદ પટેલની યાદમાં ફ્રી મેડીકલ કેમ્પનું આયોજન કરાયું…

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે સાંઈ યુવક મંડળ દ્વારા હોમીયોપેથીક દવાનું નિઃશુલ્ક વિતરણ કરાયું.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના અછાલીયા ગામનાં ખેડૂતે વિશાલા એટલે કે પીળી છાલવાળા તરબૂચની કરી ખેતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!