ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના દુમાલા બોરિદ્રા ગામ નજીકની ખાડીમાં પંદર દિવસ બાદ ફરીથી ઉદ્યોગોનું પ્રદુષિત પાણી આવતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાવા પામી છે. મળતી વિગતો મુજબ દુમાલા બોરીદ્રા ગામના ખેડૂત નરેન્દ્રભાઈ પટેલ દ્વારા આ બાબતે દુમાલા બોરીદ્રા ગામની નજીક વહેતી ખાડીની આજુબાજુમાં આવેલા ખેતરોને નુકસાન થવાની ભીતિ સેવી ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન, જીપીસીબી અને એન.સી.ટી.એલ. ને ફરિયાદ કરાતા પાણીના નમૂના લઇ કાર્યવાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગામડાઓના લોકોના જીવન સાથે ઉદ્યોગો દ્વારા વારંવાર ચેડા કરાતા હોવાની ચર્ચાઓ જાણવા મળી છે. ગ્રામજનોમાં આને લઇને રોષ જોવા મળી રહ્યો છે. ઝઘડિયા તાલુકાના દુમાલા બોરીદ્રા ગામના ખેડૂત નરેન્દ્રભાઈ પટેલ આજે સવારે ફરી જ્યારે તેમના ખાડી વગામાં આવેલ ખેતરે આંટો મારવા ગયા ત્યારે પંદર દિવસ અગાઉની જેમ ફરીથી ખાડીમાં મોટા પ્રમાણમાં પ્રદૂષિત પાણી ઝધડિયા જીઆઈડીસી તરફથી આવતું જોવા મળ્યું હતુ. મોટી માત્રામાં પ્રદુષિત પાણી ફરીથી ખાડીમાં વહેતું જણાતા નરેન્દ્રભાઈએ જીપીસીબી તથા ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનનો સંપર્ક કરીને ફરિયાદ કરી હતી. જીઆઇડીસી મોનીટરીંગ ટીમ તથા એનસીટીએલ દ્વારા ખેડૂત નરેન્દ્રભાઈની ફરિયાદના પગલે ખાડી માંથી પાણીના નમૂના લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જવાબદાર તંત્ર દ્વારા આવી ઘટનાઓમાં કડક કાર્યવાહી નહીં થતી હોવાના કારણે ઉદ્યોગોને પર્યાવરણ સાથે ચેડા કરવાનો મોકો મળતો હોવાની લોકચર્ચાઓ ઉઠવા પામી છે. વારંવાર આવી ચેષ્ટાઓ કરતા તત્વોને અટકાવવા જવાબદાર તંત્ર કડક પગલા ભરે તેવી માંગ ઉઠવા પામી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ