ભરૂચ:
ભરૂચ તાલુકાના જુના તવરા ગામમાં વહેલી સવારથી વરસેલા વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. ખાસ કરીને કૃષ્ણા પાર્ક, વૃંદાવન અને આરોહી સહિતની સોસાયટીઓમાં જવાના મુખ્ય માર્ગ પર ગોઠણસમા વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સ્થાનિકોના જણાવ્યા મુજબ નવા ભરૂચ તરીકે ઝડપથી વિકસી રહેલા જુના તવરા વિસ્તારમાં ટી.પી. સ્કીમ હેઠળ વિકાસકાર્યો ચાલી રહ્યા છે, પરંતુ યોગ્ય આયોજનના અભાવે વરસાદી પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નથી. પરિણામે સામાન્ય વરસાદમાં પણ મુખ્ય માર્ગો જળબંબાકાર બની રહ્યા છે.
રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે બોડા અને સંબંધિત તંત્ર દ્વારા વિકાસની કામગીરી તો કરવામાં આવી રહી છે, પરંતુ ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ જેવી મૂળભૂત સુવિધાઓની અવગણના કરવામાં આવી રહી છે. વિકાસના પ્રારંભિક તબક્કામાં જ આવી સ્થિતિ સર્જાતાં ભવિષ્યમાં વિસ્તાર વધુ વિકસશે ત્યારે મુશ્કેલીઓ અનેકગણી વધી શકે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિકોએ તંત્ર અને બોડાને તાત્કાલિક યોગ્ય માર્ગ વ્યવસ્થા તેમજ વરસાદી પાણીના અસરકારક નિકાલ માટે કાયમી આયોજન કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના કે ગંભીર સમસ્યા સર્જાય નહીં.
