ભરૂચ :
અકસ્માત અથવા અન્ય કારણોસર હાથ-પગ ગુમાવી ચૂકેલા દિવ્યાંગ ભાઈ-બહેનોને આધુનિક સહાયક સાધનો ઉપલબ્ધ કરાવી આત્મનિર્ભર બનાવવાના હેતુથી ભરૂચમાં 18 અને 19 સપ્ટેમ્બર, 2026ના રોજ નિઃશુલ્ક હાઈ-ટેક પ્રોસ્થેટિક તથા એસેસમેન્ટ કેમ્પ યોજાશે. શ્રી મદનમોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ, ધોલેરાધામના ઉપલક્ષમાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ALIMCO તથા સ્વામિનારાયણ ગોકુળધામ, નારના સંયુક્ત ઉપક્રમે ‘એક કદમ દિવ્યાંગ સેવા કી ઓર’ અભિયાન અંતર્ગત આ આયોજન કરાયું છે.
કેમ્પનું આયોજન દાંડિયા બજાર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવ્યું છે. અહીં 3D પ્રિન્ટેડ હાઈ-ટેક કૃત્રિમ હાથ-પગ ઉપરાંત મોટરાઇઝ્ડ ટ્રાયસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર જેવી સહાયક સાધન-સહાય માટે લાભાર્થીઓનું એસેસમેન્ટ કરવામાં આવશે.
લાભાર્થીઓએ દિવ્યાંગતાનું સર્ટિફિકેટ અથવા UDID કાર્ડ, આધારકાર્ડની ઝેરોક્ષ, આવકનો દાખલો અને પાસપોર્ટ સાઈઝનો ફોટો સાથે લાવવાનો રહેશે. નોંધણી તથા માહિતી માટે 9638736174 અને 9875013038 પર સંપર્ક કરી શકાશે.
આયોજકોએ ભરૂચ તથા આસપાસના વિસ્તારોના વધુમાં વધુ દિવ્યાંગ લાભાર્થીઓને કેમ્પનો લાભ લેવા અપીલ કરી છે.
