ભરૂચ :
ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના પ્રવાહને પગલે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર કાર્યરત છે. વાલીયા તાલુકાના રાજપરા અને રૂંધા ગામ વચ્ચે નિર્માણાધીન બ્રિજ પાસે બનાવવામાં આવેલા હંગામી ડાયવર્ઝન પર પાણી ફરી વળતા તેના આગળના ભાગમાં ધોવાણ થયું હતું.
પાણીની આવક ઘટતા જ જિલ્લા વહીવટી તંત્રે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ધોવાણ થયેલા ભાગનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કર્યું હતું. કામગીરી પૂર્ણ થતાં હાલ આ માર્ગ પર વાહનવ્યવહાર ફરીથી પૂર્વવત શરૂ કરી દેવામાં આવ્યો છે.
બીજી તરફ, વાલીયા તાલુકાના દેસાડથી સોડગામ જતાં માર્ગ પર આવેલા નિર્માણાધીન બ્રિજ નજીકના ડાયવર્ઝનને પણ ભારે પાણીના પ્રવાહથી નુકસાન પહોંચ્યું છે. સલામતીના ભાગરૂપે પોલીસે સ્થળ પર બંદોબસ્ત ગોઠવી આ માર્ગને ટ્રાફિક માટે અસ્થાયી રીતે બંધ કર્યો છે.
જિલ્લા તંત્રના જણાવ્યા મુજબ, આ માર્ગ માટે વૈકલ્પિક રસ્તો ઉપલબ્ધ હોવાથી સ્થાનિક ગ્રામજનોને અવરજવર કરવામાં કોઈ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તાલુકા કક્ષાના અધિકારીઓ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને જરૂરી કામગીરી હાથ ધરી રહ્યા છે.
વહીવટી તંત્રે લોકોને વરસાદી પરિસ્થિતિમાં સાવચેતી રાખવા, ડાયવર્ઝન અને પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર થતાં પહેલાં માહિતી મેળવી આગળ વધવા અપીલ કરી છે.
