વાંકલ: માંગરોળ તાલુકામાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. અહીં ભારતિય જનતા પાર્ટી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ જામવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ ઉમેદવારી પત્રકો ભરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જ્યારે ભાજપ દ્વારા અંતિમ દિવસે ઉમેદવારોને સીધો મંડેટ આપીને ઉમેદવારી નોંધાવવાની કામગીરી હાથ ધરાશે.
માંગરોળ તાલુકામાં ભાજપ તરફથી હજુ સુધી કોઈ ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, જેના કારણે પાર્ટીના કાર્યકરો અને દાવેદારોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે અંતિમ ક્ષણે ઉમેદવારોની પસંદગી થશે.
વિશ્વસનીય સૂત્રો મુજબ ભાજપના સંભવિત ઉમેદવારોને અગાઉથી જ ઉમેદવારી પત્રકોના ફોર્મ તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે, જેથી મંડેટ મળતાની સાથે જ તરત જ ઉમેદવારી નોંધાવી શકાય.
હાલમાં તાલુકામાં ત્રણેય મુખ્ય પક્ષો વચ્ચે જોરદાર ટક્કર થવાની શક્યતા વચ્ચે ચૂંટણી રોમાંચક બનશે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.
