ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખે તાજેતરમાં તાલુકાના હાદ્દેદારોની નિમણૂંક કરી છે. જેમાં આદિવાસીઓની બાદબાકી કરી અન્યાય કરવા સાથે આદિવાસીની વસ્તિ ધરાવતાં વિસ્તારમાં ક્ષત્રિયને હોદ્દો અપાયો હોવાનો રોષ સાંસદ મનસુખ વસાવાએ વ્યક્ત કર્યો છે.
ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ વિવિધ તાલુકાઓના હોદ્દેદારોની નિમણૂંક કરી છે. તેમાં આદિવાસીઓની બાદબાકી કરવામાં આવી હોવાનો વ્યથા સાંસદ મનસુખ વસાવા ઠાલવી રહ્યાં છે. તેમણે સોશિયલ મિડીયા પર પોસ્ટ મુકી છે જેમાં તેમણે રોષ વ્યક્ત કરતાં લખ્યું છે કે, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઇ મોદીએ મોટાભાગના સ્થાનિક ધારાસભ્યો તેમજ સાંસદ તરીકે કોઇને પણ વિશ્વાસમાં લીધાં વિના જ તેમજ જિલ્લા પ્રમુખ સાથે વારંવાર થયેલી મિટીંગમાં તેમને ધારાસભ્યો અને સાંસદ દ્વારા અપાયેલી સુચનાઓની તેમણે અવગણના કરીને તેમની આસપાસની ટોળકીના દબાણથી હોદ્દેદારોની નિમણૂંક કરી છે. જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી ભાજપના આગેવાનોને વિશ્વાસમાં લેતાં નથી અને બીટીપી-આમ આદમી પાર્ટીમાંથી આવેલાં લોકો કે જેઓ લોક સભાની ચૂંટણીમાં ભાજપને બેફામ ગાળો ભાંડતા હતાં, મોદી સાહેબની સતત ટીકા કરતાં હતાં તેમના પર વિશ્વાસ રાખી આ નિમણૂંક કરી છે. ભાજપના કાર્યકર્તાઓમાં આનાથી ભારે નારાજગી છે તેમ તેમણે જણાવ્યું હતું.
