૩૧ મીએ ભરુચ-નર્મદામાં ૭૦ ડેન્ટલ ક્લિનીક પર મોઢાના કેન્સરના નિદાનનો કેમ્પ યોજાશે
ભરૂચ જિલ્લામાં પ્રથમવાર એક સાથે ૭૦ સ્થળે નિદાન કેમ્પનું આયોજન
ભરૂચ.
ઈન્ડિયન ડેન્ટલ એસોસિએશનની ભરૂચ-અંક્લેશ્વર બ્રાન્ચ દ્વારા વર્લ્ડ નો ટોબેકો દિવસ એટલે કે ૩૧મી મેના રોજ લોક જાગૃતિ અને મોઢાના કેન્સરના નિદાન માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભરૂચ, અંક્લેશ્વર, રાજપીપળા, રાજપારડી તેમજ ઝઘડિયા સહિતના વિસ્તારમાં આવેલાં ૭૦થી વધુ ડેન્ટલ ક્લિનીક જોડાશે. ૩૧મી મેના રોજ સવારે ૧૦ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધીમાં આ તમામ ડેન્ટલ ક્લિનીક પર મફતમાં કેન્સર ચેકઅપ તેમજ લોકો તમાકુનું સેવન ન કરે તે માટે લોકજાગૃતિ લાવવાનો પ્રયાસ કરશે.
ડો. રુનિત જૈનએ જણાવ્યું હતું કે, માત્ર ભરૂચમાં જ નહીં પણ એકંદરે સમગ્ર રાજ્યમાં પહેલીવાર આ રીતે એક સાથે ૭૦ ડેન્ટલ ક્લિનીક પર કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દેશમાં દર વર્ષે ૪.૬ લાખ લોકો કેન્સરનો શિકાર બને છે. તેમાંથી પણ ૧.૧૩ લાખ એવા હોય છે કે જેઓએ મોઢાનું કેન્સર થયું હોય છે. તેમાંય ૬૮ ટકા મોઢાના કેન્સરના દર્દીઓ પુરુષો હોય છે. જ્યારે દર કલાકે ૫ લોકોના કેન્સરના કારણે મોત થાય છે. કેન્સર નિદાન કેમ્પ થકી દર્દીને કેન્સર છે કે નહીં તેનું નિદાન તો થાય જ છે. પરંતુ ઘણા કિસ્સામાં હજી પ્રિમેલીગ્નન્ટ સ્થિતી એટલે કે કેન્સર થવાની તૈયારી હોય તેવું નિદાન થાય તો રિવર્સેબલ સ્થિતી હોવાથી તેમને યોગ્ય સારવાર આપી સાજા કરી શકાય છે.
