ભરૂચ.
દહેજમાં જીએસીએલ ચોકડી પાસે રાત્રીના સમયે રાહદારી યુવાનને કચડીને વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. વાહન ચાલકે યુવાનને ધસડી જતાં તેને ગંભીર ઇજાઓ થવા સાથે તેનો ડાબો પગ ઘુંટણમાંથી છુટો થઇ ગયો હતો. બનાવ સંદર્ભે દહેજ પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જીને ફરાર થઇ ગયેલાં વાહન ચાલકને શોધવાના ચક્રો ગતિમાન કર્યાં છે.
દહેજમાં આવેલી જીએસીએલ ચોકડી પાસે રહેતો શુશાંતપાલ ચાઇનિસની લારી ચલાવે છે. તે રાત્રીના સમયે તેની દુકાને હતો. તે વેળાં દશેક વાગ્યાના અરસામાં તેમની દુકાનની બાજુમાં રહેતો સંજયપાલ તેની પાસે આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, આપણી દુકાનની સામે એક યુવાનને કોઇ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં તેનું મોત થયું છે. જેથી તેઓ ત્યાં પહોંચ્યાં હતાં. તેમણે જોયું તો એક 35 વર્ષના યુવાનને કોઇ વાહન ચાલકે અકસ્માત સર્જયો હતો. યુવાનનો પેટથી નીચેનો ભાગ ચપટ કરી નાંખી તેમજ ડાબો પગ ઘુંટણમાંથી છુટો પાડી દઇ તેનું મોત નીપજાવી વાહન ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. બનાવને પગલે તેમણે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જી ફરાર થઇ ગયેલાં વાહન ચાલકને શોધવાના ચક્રો ગતિમાન કર્યાં હતાં.
