તળાવમાં અનહદ ગંદકીના કારણે માછલાઓના મોતથી સ્થાનિકોમાં રોષ
તાજેતરમાં જ તળાવમાંના એક ઐતિહાસિક કાચબાનું મોત થયું હતું
ભરૂચ.
ભરૂચ શહેરના મધ્યમાં આવેલું રતન તળાવ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. અને તેમાંય તેમાં વસતાં દૂર્લભ અને શિડ્યુઅલ -1માં આવતાં કાચબાઓને કારણે તળાવનું મહત્વ હજી વધી જાય છે. જોકે, ભરૂચ નગરપાલિકા દ્વારા તેની ઐતિહાસિક ધરોહરની જાળવણી કરવામાં ઉણી ઉતરી હોવાનું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે. તળાવમાં વસતાં શિડ્યુઅલ 1માં આવતાં કાચબાની પ્રજાતિને બચાવવા માટે પાલિકા દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે થોડા થોડા સમયે તળાવમાં વસતાં કાચબાના મોત થવાની ઘટના સામે આવી રહી છે. તાજેતરમાં જ એક કાચબાનું મોત થતાં સ્થાનિકોએ પાલિકા સત્તાધિશો સામે રોષ વ્યક્ત કરવા સાથે તળાવની સ્વચ્છતા માટે ખાસ પગલાં ભરવામાં આવે તેવી માગ કરી હતી. જોકે, પાલિકા દ્વારા મામલાં કોઇ પગલાં હજી સુધી ભરાયાં નથી. ત્યાં તળાવની ગંદકીને કારણે હવે મોટી સંખ્યામાં માછલાઓના મોત થવાની ઘટના બની છે. ત્યારે લોકોમાં રોષ વધુ ફાટ્યો છે. પાલિકા દ્વારા રતન તળાવની સફાઇ માટે આળખ ખંખેરીને અને ઐતિહાસિક ધરોહરને બચાવવા માટેની ફરજ સમજીને તાત્કાલિક અસરે એક્શન પ્લાન બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
