આગામી સપ્તાહભરમાં જિલ્લામાં છુટાછવાયાં સ્થળે ગાજવીજ સાથે મધ્યમ કે ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ
। ભરૂચ ।
ભરૂચ શહેર જિલ્લામાં ચોમાસાની જમાવટ થઈ ગઈ હોવાનું લાગી રહ્યું છે. છેલ્લાં ચારેક દિવસથી શહેર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે ગરમીમાંથી રાહત સાંપડતાં લોકોએ હાશકારો મેળવ્યો છે. જોકે, આગામી એક સપ્તાહમાં ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદ વરસવાની શક્યતાઓ વચ્ચે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી સપ્તાહભર લોકોને બીનજરૂરી પ્રવાસ ટાળવા માટે વહિવટી તંત્રએ લોકોને અનુરોધ કર્યો છે.
ભરૂચ જિલ્લામાં શનિવારથી મેઘરાજાની એન્ટ્રી પડી ગઈ છે. એકંદરે ૨૦થી ૨૨ જૂનથી શરૂ થતી ચોમાસાની ઋતુ આ વર્ષે એક સપ્તાહ પહેલાં જ શરૂ થઈ ગઈ હોવાનું લાગી રહ્યું છે. ગુજરાત પરથી લો-પ્રેસરની અસર પસાર થવાની હોવાથી રાજ્યભરના કેટલાંક વિસ્તારમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ભરૂચ જિલ્લામાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી સપ્તાહભરમાં જિલ્લામાં છુટાછવાયાં સ્થળે ગાજવીજ સાથે મધ્યમ કે ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ છે. આવા સમયે લોકોએ શક્ય હોય ત્યાં સુધી બીનજરુરી પ્રવાસ ટાળવા જોઈએ તેમ વહીવટી તંત્રએ જણાવ્યું છે. ઉપરાંત કોઈ વિસ્તારમાં આપાતકાલિન સ્થિતીનું નિર્માણ થાય તો લોકોએ જરુરી સાવચેતી રાખવા સાથે વહીવટી તંત્રને સહકારરૂપ થવા અનુરોધ કરાયો છે.
મક્તમપુર ખાતે આવેલી નસવારી કૃષિ યુનિવર્સિટીના રિસર્ચ એસોસિએટ ડો.હરીનંદન સોડવડિયા તેમજ હવામાન નિરીક્ષક ધવલ કમાણીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે ખેડૂતોએ ખેતરમાં પાણી ન ભરાય અને ભરાય તો તેનો ત્વરીત નિકાલ કેવી રીતે કરી શકાય તેનું આયોજન કરવું હિતાવહ છે. હાલમાં વાવણી કરવાથી નુકશાનીની શક્યતાઓ છે. ત્યારે ખેડૂતોએ થોડો ઉઘાડ નિકળ્યાં બાદ જમીનમાંથી વરાપ નિકળ્યાં બાદ વાવણી કરવી જોઈએ
આપાત્કાલિન સ્થિતી માટે નંબર જાહેર કરાયાં ભરૂચ શહેર જિલ્લામાં આગામી એક સપ્તાહ સુધી અતિભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેના ભાગરૂપે વહિવટી તંત્ર દ્વારા તમામ જસ્વી તૈયારીઓ રાખવામાં આવી છે. ત્યારે ભારે વરસાદને કારણે કોઈ સ્થળે આપાત્કાલિન સ્થિતીનું નિર્માણ થાય તો તુરંત વહિવટી તંત્રનો સંપર્ક કરી શકાય તે માટે જિલ્લાના ડિઝાસ્ટર કન્ટ્રોલ રુમના ૦૨૬૪૨ ૨૪૨૩૦૦ અથવા તો ટોલ ફ્રી નંબર ૧૦૭૭ પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
