ભરૂચ.
ભરૂચના ઝાડેશ્વર ગો સ્વામીનારાયણ મંદીર રોડ પર આવેલી માનસનગર સોસાયટી ખાતે રહેતાં અને અને નિવૃત્ત જીવન ગુજારતાં ગિરીષ ઇશ્વર માછીનો મોબાઇલ પર ગત 3 જૂલાઇના રોજ એક શખ્સે ફોન કર્યો હતો. તેણે પોતાની ઓળખ એચડીએફસી બેન્કના કર્મચારી તરીકે આપી હતી.તેમજ પોતાનું નામ દિલીપ રંજન હોવાનું જણાવી તેમને જણાવ્યું હતું કે, તેમના બેન્ક એકાઉન્ટનું કેવાયસી કરવાનું બાકી છે. જો તે નહીં કરે તો બેન્ક એકાઉન્ટ બંધ થઇ જશે. જેથી તેમણે તેને કેવાયસીની ઓનલાઇન પ્રક્રિયા તેમને નહીં ફાવે જેથી તે બેન્કમાં જઇને અપડેટ કરાવી દેશે તેમ જણાવતાં તેણે તેમને વાતોમાં ભોળવી તેમને વોટ્સએપ પર વિડિયો કોલ કરીને ઓનલાઇન કેવાયસી અપડેટ પ્રક્રિયા કરાવી આપીશ તેમ જણાવ્યું હતું. બાદમાં તબક્કાવાર રીતે ફોન કરી તેમને એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી તેમાં અપડેટ કરાવવા સાથેની વિગતો પુર્ણ કર્યાં બાદ બીજ દિવસે તેમના ખાતામાંથી રૂપિયા કપાયાનો મેસેજ આવતાં તેમણે બેન્કનો સંપર્ક કરતાં માલુમ પડ્યું હતું કે, તેમણે કરેલી ફિક્સ ડિપોઝીટની 5.42 લાખની રકમ તેમના ખાતામાં આવ્યાં બાદ તેમના ખાતામાંથી અલગ અલગ રીતે કુલ 6.91 લાખ રૂપિયા ઉપડી ગયાં છે. જેથી તેમણે તપાસ કરતાં તેમની સાથે ઓનલાઇન ઠગાઇ થઇ હોવાનું માલુમ પડતાં તેમણે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
