ભરૂચ.
ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા સંકલિત પ્રયાસો માટે તમામ સંબંધિત વિભાગો સુમેળભર્યું સંકલન સાધીને કામગીરી કરી રહ્યા છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે સુનિશ્ચિત કરવાનો છે.
આત્મા પ્રોજેક્ટ, ભરૂચ દ્વારા કેન્દ્ર સરકારની આગેવાનીમાં ચાલુ વર્ષે અમલમાં આવેલી નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) યોજના હેઠળ ભરૂચ જિલ્લા સહિત જંબુસર તાલુકાના ક્લસ્ટરોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સખી અને CRP (કોમ્યુનિટી રિસોર્સ પર્સન) દ્વારા પ્રાકૃતિક ખેતી કરવા ઇચ્છુક કુલ ૧૨૫ ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ ખેડૂતોને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ચાસવડના નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ આપવામાં આવી રહી છે. જંબુસર તાલુકાના (સંભા) ગામ થણાવા ક્લસ્ટર ખાતે આજરોજ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અને લાભો વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. ખેડૂતોને ઉપસ્થિત રાખીને પ્રાકૃતિક ખેતીના તમામ પાંચેય આયામો વિશે વિગતવાર સમજૂતી આપવામાં આવી હતી. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત, ઉપયોગીતા અને લાભોથી માહિતગાર કરવામાં આવનાર છે તેમજ પ્રાકૃતિક ખેતીમાં અત્યંત આવશ્યક એવા દેશી ગાયના ગોબર અને ગૌમુત્રથી નિર્મિત બીજામૃત, જીવામૃત તેમજ પાક સંરક્ષણ અસ્ત્રો વિશે પ્રેક્ટીકલ નિદર્શન ગોઠવીને ઉપસ્થિત ખેડૂતોને વિધિવત સમજાવવામાં આવી હતી.
NMNF યોજના હેઠળ પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરિત પ્રતિ ક્લસ્ટર ૧૨૫ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના આત્મા પ્રોજેક્ટ દ્વારા તૈયાર કરેલા વિશિષ્ટ સાહિત્ય પણ વિનામૂલ્યે પૂરા પાડવામાં આવ્યું હતું.
