ભરૂચ અર્વાચીન ગરબાની વધતી જતી બોલબાલા વચ્ચે પ્રાચીન પરંપરાઓને જીવંત રાખવા સાથે સાથે સ્વદેશી વસ્તુઓના પ્રચાર અને સ્વચ્છતા અંગે સમાજને જાગૃત કરવા માટે સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજે ઝાડેશ્વર સ્થિત રાધેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય પરંપરાગત ગરબાનું આયોજન કર્યું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “વિકાસ ભી, વિરાસત ભી” મંત્રને અનુસરીને આ ગરબા મહોત્સવમાં ભક્તિ, સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમ સાથે સામાજિક સંદેશનો પણ પ્રસાર થયો.આઠમા નોરતે યોજાયેલા આ પરંપરાગત ગરબામાં સમાજની કન્યાઓએ દીપક સાથે માથા પર માટીનો ગરબો લઈને માતાજીની આરાધના કરી. આ ગરબા કાર્યક્રમમાં ખાસ કરીને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગનો સંકલ્પ લેવાયો હતો. સમાજના આગેવાનો અને યુવાઓએ ‘આત્મનિર્ભર ભારત’ના આહવાનને ટેકો આપતાં વિદેશી વસ્તુઓનો ત્યાગ કરીને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની પ્રતિજ્ઞા લીધી. સાથે જ “સ્વચ્છતા હિ સેવા” અભિયાનને અનુસરીને સ્થળ પર સ્વચ્છતા જાળવવા અને સમાજમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ પણ સર્વે ખેલૈયાઓએ કર્યો.ભરૂચમાં સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજના આ ભવ્ય અને ભક્તિપૂર્ણ ગરબા મહોત્સવે માત્ર પરંપરાનું જ નહીં પરંતુ સમાજજાગૃતિનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. અર્વાચીન ગરબાની વચ્ચે પરંપરા સાથે સ્વદેશી પ્રચાર અને સ્વચ્છતા અંગે સમાજને સંદેશ આપવાનો આ પ્રયાસ સૌ કોઈ માટે પ્રેરણાસ્રોત બની રહ્યો છે.
બાઈટ..ડો. હિતેશ ડોબરીયા…
બાઈટ..રુચિતા બેન કાછડિયા…
