આપતકાલીન બનાવોમાં વધારો થવાની શક્યતાઓને ધ્યાનમાં રાખી ખાસ આયોજન
|ભરૂચ|
ગુજરાત દિવાળીના ઉત્સવની ધામધૂમથી ઉજવણી માટે તૈયાર છે. આ પ્રસંગે 108 ઈમરજન્સી સેવા તમામ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવવા સાથે અગાઉના વર્ષોના વલણોને આધારે આ તહેવાર દરમિયાન આપતકાલીન બનાવોમાં વધારો થવાની શક્યતાઓને ધ્યાનમાં રાખી ખાસ આયોજન કરાયું છે. દિવાળીના તહેવાર ટાણે ભરૂચ જિલ્લામાં 40 જેટલી 108 એમ્બ્યુલન્સ આપાતકાલિન સ્થિતીને પહોંચી વળવા સજ્જ અને ખડે પગે છે.
ભરૂચ જિલ્લાની પરિસ્થિતિ જોઈએ તો સામાન્ય દિવસોમાં આશરે ૧૦૪ જેટલા કેસો નોંધાતા હોય છે જે દિવાળી તહેવાર નિમિત્તે દિવાળીના રોજ લગભગ ૧૩૨ જેટલા કેસો એટલે કે ૨૬.૯૨ % જેટલા વધારો, નવા વર્ષના દિવસે ૧૩૩ જેટલા કેસો એટલે કે ૨૭.૮૮% જેટલો વધારો તથા ભાઈબીજના દિવસે ૧૨૫ જેટલા કેશો એટલે કે ૨૦.૧૯% જેટલો કેસોમાં વધારો નોંધાય એવું અનુમાન કરવામાં આવે છે.
ભરૂચ જિલ્લામાં કુલ ૪૦ જેટલી 108 એમ્બ્યુલન્સની ટીમના આશરે ૧૩૦ જેટલા કમૅચારીઓ ઇમરજન્સી કોલ વોલ્યુમના આ સંભવિત વધારાની પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ સાથે એમ્બ્યુલન્સની અંદર દવાનો વધારાનો જથ્થો પણ ફાળવી દેવામાં આવ્યો છે અને વધારાના કર્મચારીઓને પણ જે તે સ્થળે, જે તે હોસ્પિટલમાં મૂકવામાં આવશે કે જેથી કરી એમ્બ્યુલન્સને તરત જ હોસ્પિટલમાંથી રિલીઝ કરી બીજી ઈમરજન્સી માટે મોકલી શકાય.
સાવચેતી રાખીએ તો દુર્ઘટનાઓથી બચી શકાય |ભરૂચ| તહેવારો આનંદ અને એકતા નું પ્રતીક છે, પરંતુ તે સાથે જવાબદારી અને સાવચેતી પણ જરૂર છે. કૃપા કરીને વાહન ચલાવતી વખતે, ફટાકડા ફોડતી વખતે અને તહેવારોમાં ભોજન લેતી વખતે સાવધ રહો થોડું ધ્યાન આપો તો અનેક અનિચ્છિનીય ઇમર્જન્સીને ટાળી શકાય છે. તેમ છતાં જો કોઈ પરિસ્થિતિ સર્જાય તો તરત જ 108 નંબર પર સંપર્ક કરીને કોઈપણ નાગરિક 24*7 તાત્કાલિક મદદ મેળવી શકે છે.
રાજ્યભરમાં વાહન અકસ્માત-દાઝવાના કેસ વધી જાય છે |ભરૂચ| ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે દિવાળી પર ૫૧૯૯ (સામાન્ય દિવસોની સરખામણીએ ૭.૭૭ ટકા વધારે), નવા વર્ષના દિવસે ૫૭૦૪ (સામાન્ય દિવસોની સરખામણીએ ૧૮.૨૪ ટકા વધારે) અને ભાઈ બીજ પર ૫૪૦૮ (સામાન્ય દિવસોની સરખામણીએ ૧૨.૧૧ ટકા વધારે) આકસ્મિતાઓની આગાહી કરવામાં આવે છે. જ્યારે સામાન્ય દિવસોમાં સરેરાશ ૪૮૨૪ ઈમરજન્સી નોંધાય છે. જેમાં મુખ્યત્વે રોડ અકસ્માત, શારીરિક હુમલાઓ, પડી જવાના કેસો અને દાઝવાના જેવા કેસોનો સમાવેશ થાય છે.
