ભરૂચ
ગુજરાત સરકારશ્રી દ્વારા તા.૧૨/૦૬/૨૦૨૧ ના રોજ ગોલ્ડન બ્રીજને સમાંતર નવનિર્મિત નર્મદામૈયા બીજનું લોકાર્પણ કરી સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામા આવેલ છે. નર્મદામૈયા બીજ ટ્રાફીકનું ભારણ ઓછું કરવા માટે ઘણો સહાયક છે અને બીજ ખુલ્લો મુકાતા ટ્રાફીકનું ભારણ નહીવત રહેવા પામ્યું હતું પરંતુ ત્યારબાદ રાત્રીનાં સમયે ખાનગી મોટા વાહનો જેવા કે ખાનગી બસ, ટ્રક જેવા ભારે વાહનો સદર નર્મદામૈયા બીજ ઉપરથી પસાર થવાને કારણે નાના મોટા અકસ્માતોમાં ખુબ જ વધારો થવા પામ્યો હતો.
ભરૂચ જિલ્લાનો સામાન્ય નાગરીકો દ્વારા વિડીયો તથા ફોટા દ્વારા આ બાબતે ફરીયાદ કરવામાં આવેલ નર્મદામૈયા બીજ ભરૂચ-અંક્લેશ્વર શહેરને જોડતો બ્રીજ હોય જેથી ભરૂચ-અંકલેશ્વર ખાતે રોજીંદા નોકરીયાત, વેપારીઓ તથા સામાન્ય જનતા બ્રિજ પરથી પસાર થાય છે. એ.બી.સી, સર્કલથી નર્મદા મૈયા બ્રીજ તથા અંકલેશ્વર તરફથી અવર-જવર કરતાં વાહનો/ મોટા વાહનો જેવા કે લક્ઝરી બસો, ટ્રકો વિગેરેના કારણે ટ્રાફીકની સમસ્યા પણ રહે છે. એ.બી.સી. સર્કલથી નર્મદામૈયા બીજ સુધીમાં મોટી હોટલો, કોંમ્પ્લેક્ષ, મોલ, કોલેજો, બસ સ્ટેશન આવેલ છે. જેથી આ બ્રીજ પરથી ભારે તથા અતિભારે વાહનોની અવર-જવરનાં કારણે જાનહાની થવાની પણ પુરતી સંભાવના રહેલ છે.
જેથી નર્મદામૈયા બ્રીજ ઉપરથી ભારે તથા અતિભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ લાદવામાં આવે તો ટ્રાફીકની સમસ્યા હલ થાય તેમ છે. તેમજ અકસ્માતના બનાવ ન બને તે માટે નર્મદામૈયા બ્રીજ ઉપરથી તમામ પ્રકારનાં ભારે તથા અતિભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકવો આવશ્યક જણાતો હોય આમુખ-૧ ના જાહેરનામાથી તા.૦૪/૧૧/૨૦૨૫ નાં રોજ ૨૪:૦૦ કલાક સુધી નર્મદામૈયા બ્રીજ ઉપરથી ભારે તથા અતિભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ. જે પ્રતિબંધ કાયમીપણે મુકવો જરૂરી જણાતો હોય, નીચે મુજબ હુકમ કરવામાં આવે છે.
ગૌરાંગ મકવાણા, જિલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ, ગુજરાત પોલીસ અધિનિયમ. ૧૯૫૧ની કલમ-૩૩ (૧) (બી) અન્વયે મળેલ સત્તાની રૂએ હુકમની તારીખથી જાહેરનામાની જોગવાઇઓમાં અન્ય કોઇ ફેરફાર ન થાય ત્યાં સુધી કાયમી ધોરણે નર્મદામૈયા બ્રીજ ઉપરથી પસાર થતા તમામ પ્રકારનાં ભારે તથા અતિભારે વાહનો જેવાં કે, ખાનગી બસ, તમામ પ્રકારની ભારે ટ્રકો, ટેમ્પા, ટેન્કરોની ( ટુ વ્હીલર, થ્રી વ્હીલર, કોર વ્હીલર કાર, શાકભાજી વહન કરતાં નાના લોડીંગ વાહનો તથા દૂધ વિતરણ સાથે સંકળાયેલ નાના લોડીંગ વાહનો સિવાયનાં તમામ વાહનો) અવર-જવર પર પ્રતિબંધ મુકવા આથી હુકમ કરવામાં આવ્યો છે.
જાહેરનામાંથી આપાતકાલીન સેવા માટેનાં વાહનો જેવા કે, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડનાં વાહનો,એસ.ટી. બસોને તથા આમુખ – ૨ નાં જાહેરનામાં દર્શાવ્યા મુજબનાં વાહનોને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવે છે. તેમ જિલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવાયું હતું.
