કંપનીના બ્લાસ્ટના કારણે થયેલી અસરથી આસપાસની કંપનીઓમાં કર્મીઓ ઘવાયાં
હજી માત્ર બે મહિના પહેલાં જ કંપની શરુ થઈ છે : ફેક્ટરી ઈન્સ્પેક્ટર
। ભરૂચ ।
સાયખા જીઆઈડીસીમાં આવેલી વિશાલ્યાકર્ણી ફાર્માકેમ કંપનીમાં ૧૨મી નવેમ્બરની રાત્રે અઢી વાગ્યે થયેલાં બ્લાસ્ટે ૮ કિમીની ત્રીજ્યામાં ધરા ધ્રુજાવી દીધી હતી. બ્લાસ્ટમાં કંપનીમા ફરજ બજાવતાં ૩ કર્મીઓના મોત થયાં છે. જ્યારે ૨૪ લોકોને ઈજાઓ થઈ છે. ત્યારે સંબંધિત વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવતાં કંપની હજી માત્ર બે મહિનાથી જ શરૂ થઈ હોવાનું જણાયું છે.
ઘટના સમયે કંપનીમાં માત્ર ૯ કર્મચારી અને ૧ સિક્યુરિટી ગાર્ડ મળી કુલ ૧૦ લોકો ફરજ બજાવી રહ્યાં હતાં. કંપનીમાં ડિસ્ટ્રીલેશનની પ્રક્રિયા ચાલી રહી હતી. ત્યારે કેમિકલમાંથી સોલ્વન્ટ કાઢયા બાદ પણ તેમાંથી બચેલો કચરામાં જલનશીલ કેમિકલની માત્રા વધુ હોવાને કારણે પ્રક્રિયા વેળાં બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે, સ્થાનિકો દ્વારા કંપનીને હજી કોઈ પરવાનગી મળી ન હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ઈન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા પણ હજી આ મામલામાં નરો વા કુંજો વા જેવી વાત કરતાં હોવાનું લાગી રહ્યું છે. ત્યારે હાલમાં પ્રાથમિક તબક્કે જાણવા મળ્યાનુંસાર ઘટનામાં મૃત્યુ પામેલા કામદારોને ૨૦-૨૦ લાખ રૂપિયા વળતર પેટે ચુકવવામાં આવ્યાં છે. ઉપરાંત ઈજાગ્રસ્તોને સારવારથી માંડી અન્ય જરુરી ખર્ચ અંગે બાદમાં વિચારણા થશે તેમ જાણવા મળ્યું હતું.
ઘટનાને પગલે ભરૂચના એડવોકેટ કમલેશ મઢીવાલાએ પીએમ-સીએમ સહિત જીપીસીબી, સીપીસીબી, સંલગ્ન મંત્રીઓ તથા માનવ આયોગ, ડીશ સહિતને ઓનલાઈન ફરિયાદ કરી છે. જેમાં તેમણે કંપનીમાં ટેક્નિકલ કર્મચારીઓ થકી કામ થતુ હતુ કેમ, નોનટેક્નિકલ શ્રમિકો પાસે કકામ કરાવાતુ હતું કે કેમ તે સહિત કંપનીમાં એસઓપી નિભાવવામાં આવતી હતી કે નહીં તે સહિતની તમામ ઝીણવટ ભરી તપાસ કરવા સાથે કંપની દ્વારા ઈસી (એન્વિરોમેન્ટ ક્લિયરન્સ)ની શરતો ખુલ્લેઆમ ભંગ કરાયો છે તો કંપની સંચાલકો તેમજ સંબંધીત અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
