અમદાવાદના નરેશ સુથાર અને તેમના પિતરાઈ સાગર 27 નવેમ્બરે મુંબઈથી સગર્ભા કાકી અને બે બાળકોને લેવા ગયા હતા. વાહન લઈને તેઓ અમદાવાદ પાછા ફરી રહ્યાં હતા ત્યારે શુક્રવારે વહેલી સવારે દિલ્હી–મુંબઈ એક્સપ્રેસવે પર ભરૂચ નજીક દયાદરા ગામ પાસેથી પસાર થઇ રહ્યા હતા.
અચાનક કારનું આગળનું ટાયર ફાટતાં સાગર વાહન પરનો કાબુ ગુમાવી બેઠો હતો. કાર રોડની બાજુની ઈમરજન્સી પાર્કિંગ લાઈનમાં ઉભેલા કન્ટેનરમાં જોરદાર અથડાઈ હતી. અકસ્માતમાં કાકી પિંકીબેન જયંતિભાઈ સુથાર (ઉંમર 34) તથા તેમના બાળકો 9 વર્ષના કુલદીપ અને 6 વર્ષની ઈનાયાને ઈજા પહોંચી હતી, તેમજ કારમાં બેઠેલા યુવાનો પણ ઘાયલ થયા હતા.
નવ મહિનાની સગર્ભા પિંકીબેનને ગંભીર ઈજા થતાં તેઓ બેભાન થઈ ગયા હતા. 108 એમ્બ્યુલન્સ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ લવાયા બાદ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
અકસ્માત મામલે ભરૂચ રૂરલ પોલીસે કારચાલક પિતરાઈ સાગર સામે ગુનો દાખલ કર્યો છે.
