ભરૂચ.
ભરૂચ તાલુકામાં આવેલાં દયાદરા ગામે આદિવાસી તેમજ મુસ્લીમ યુવાનો વચ્ચે ધિંગાણું સર્જાયું હતું. જેમાં બન્ને પક્ષે અલગ અલગ કારણો દર્શાવી સામસામે ફરિયાદ નોંધાવતાં પોલીસે નામજોગ 13 જણા સહિત 40થી 50 જણાના ટોળા સામે ફરિયાદ નોંધી છે. મારામારીમાં 7થી 10 જણાને ઇજાઓ થઇ હતી.
ઘટનામાં દયાદરાના પ્રેમનગરી વિસ્તારમાં રહેતાં અજય ઉદેસંગ વસાવાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેના પિતરાઇ ભાઇના પુત્રનો અકસ્માત થયો હોઇ તે તેની પત્ની સાથે ભેંસલી ગયો હતો. જ્યાંથી પરત આવતી વેળાં દયાદરા બસ સ્ટેન્ડ ખાતે પહોચતાં ત્યાં ગામના ઘણા લોકો ભેગા થયાં હતાં. અને કોઇ બાબતે ઝઘડો થતો હોઇ તેઓ તેમની પત્નીને ઘરે મુકવા જતાં રહ્યાં હતાં. દરમિયાનમાં તેમને માલુમ પડ્યું હતું કે, તેમનો પુત્ર ઘરે હાજર ન હતો. અને ગામના બસ સ્ટેન્ડ પાસે ગામના જ કરણ વસાવાની બાઇક સ્લીપ થવા મુદ્દે ત્યાં તકરાર ચાલી રહી હતી. જેથી તેઓ તેમના પુત્રને શોધવા જતાં ત્યાં ગામેના ગામના મોરીસ હાફેજી, નજીર દિવાન, યાકુબ મોરીશ, ઇમરાન કોરા, અખ્તર બોરડીવાલા, સોહેલ ભટા, જૈનુલ મક્કન, જૈનુલ કંગુવાલા તેમજ સલ્લુ ધિરજ તેમના પુત્ર રોહનને પકડીને માર મારી રહ્યાં હતાં. જેથી તેઓ તેને છોડાવવા વચ્ચે પડતાં તેઓએ લોખંડની પાઇપ સહિતના મારક હથિયારો સાથે તેમના પર હુમલો કરી તેમજ પથ્થરમારો કરતાં અજય વસાવા, તેના પુત્ર રોહન, ફળિયાના કલ્પેશ દિનેશ વસાવા, સુરેશ કાંતી વસાવાને ઇજાઓ થઇ હતી. અરસામાં તેમણે તકરારનું કારણ પુછતાં તેમણે જણાવ્યું હતું કે, તેમના ગામે તેમના સમાજના લોકોએ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવ્યું હોઇ તેમના પુત્ર સહિત તેના મિત્રો ક્રિકેટ રમવા માટે ગયાં હતાં. તે વેઢળાં યાકુબ મોરીશ સહિતનાઓએ તેમને જાતિય અપશબ્દો ઉચ્ચારી તે ગ્રાઉન્ડમાં નહીં રમવાનું તેવી ધમકીઓ આપી ઝઘડો કરતાં મામલો બિચક્યો હતો.
બનાવને પગલે નજીરહુસેન મહમદશા દિવાને ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ ગામના બસ સ્ટેન્ડ પાસે બેઠાં હતાં. તે વેળાં ગામના મુખ્ય ગેટ પર એક બાઇક સ્લીપ થતાં તેઓ ત્યાં દોડી ગયાં હતાં. તેમણે તેને આટલી સ્પિડમાં કેમ બાઇક ચલાવો છો? તેમ કહેતાં તે ભાનમાં ન હોવાનું જણાયો હતો. તેને ઉભો કરતાં તે ત્યાંથી બાઇક લઇને જતો રહ્યો હતો. તેમણે ત્યાં ઉભેલાં અન્ય આદિવાસી યુવાનોને પણ ત્યાંથી ઘરે જતાં રહેવા કહેતાં તે પૈકીના કેટલાંકે અપશબ્દો ઉચ્ચારતાં મામલો ગરમાયો હતો. દરમિયાનમાં તેમના સમાજના યામીન પટેલ, મોહિસન કોંગોવાલા, સિકંદર ઇબ્રાહિમ તેમને છોડાવવા વચ્ચે પડ્યાં હતાં. અરસામાં અન્ય40થી 50 લોકોના ટોળાએ દોડી આવ તેમના પર હુમલો કરી પ્રેમનગરીમાં ભાગી ગયાં હતાં. તેઓ તેમને કહેવા જતાં તેઓએ પત્થરમારો કર્યો હતો. જેમાં તેઓ ચારેયને ઇજાઓ થઇ હતી.
