ભરૂચ.
ભરૃચ તાલુકા પોલીસને જાણ થઇ હતી કે, દિલ્હી મુંબઇ એક્સપ્રેસવે પર એક યુવાનને અજાણ્યા વાહને ટક્કર મારી છે. જેના કારણે તેને હાઇવેની એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જેથી ટીમે સિવિલ હોસ્પિટલમાં પહોંચી તપાસ કરતાં ઇજાગ્રસ્ત યુવાન માનસિક વિકલાંગ હોવાનું પ્રાથમિક તબક્કે માલુમ પડ્યું હતું. ટીમે અન્યની પુછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, યુવાન સવારના સાડા છ વાગ્યાના અરસામાં દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પરથી પસાર થઇ રહ્યો હતો. તે વેળાં કોઇ અજાણ્યા વાહને તેને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. જેથી તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યો હતો. દરમિયાનમાં તેનું સારવાર વેળાં મોત નીપજતાં પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
