ભરૂચ જિલ્લાના ઝઘડિયાના પત્રકાર જયશીલભાઈ પટેલ પર રેત માફિયાએ કરેલા હુમલાના વિરોધમાં પત્રકારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ ઘટનાને પગલે ઝઘડિયા સહિત સમગ્ર ભરૂચ જિલ્લાના પત્રકારોએ એકત્ર થઈ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી હુમલાખોર સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
મળતી માહિતી મુજબ ગોવાલી ગામના રહેવાસી દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડીયા નામના ઈસમે રાણીપુરા ગામ નજીક નર્મદા નદીમાં નાવડી અને મશીનની મદદથી ગેરકાયદેસર રેતી ખનન કરતી પ્રવૃત્તિ દરમિયાન આ બાબતની રિપોર્ટિંગ કરતા પત્રકાર જયશીલ પટેલ પર હુમલો કર્યો હતો. આ અંગે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
પત્રકારોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે હુમલાખોર દેવાંગ પાટણવાડીયા અગાઉ પણ ભુસ્તર વિભાગની કાર્યવાહીનો સામનો કરી ચૂક્યો છે તેમજ મહિલા પર દુષ્કર્મના ગુનામાં તેને સજા પણ થઈ હોવાનું નોંધપાત્ર છે. આવા ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઇસમ સામે માત્ર સામાન્ય કાર્યવાહી નહીં પરંતુ પાસા એક્ટ હેઠળ કડક પગલા ભરવા જરૂરી હોવાનું પત્રકારોએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પત્રકાર પર હુમલાની ઘટના સમયે સ્થળ પર કેટલાક અધિકારીઓ હાજર હોવા છતાં રેતી માફિયાએ નિર્ભય બનીને હુમલો કર્યો હોવું ગંભીર અને ચિંતાજનક બાબત ગણાઈ રહી છે. વધુમાં, ઘટનાને અનેક દિવસો વિતી જવા છતાં આરોપીની ધરપકડ ન થતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.
આવેદનની નકલ ઝઘડિયા નાયબ પોલીસ અધિક્ષક, પ્રાંત અધિકારી તેમજ ઝઘડિયા પોલીસ ઇન્સ્પેક્ટરને પણ આપવામાં આવી હતી અને આરોપીને તાત્કાલિક ઝડપીને પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ પુનરાવર્તિત કરવામાં આવી હતી.
પત્રકારોએ જણાવ્યું હતું કે ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી ગેરકાયદેસર રેતી ખનન બેરોકટોક ચાલી રહ્યું છે. નર્મદા નદીના વિશાળ પટમાં નાવડી, મશીન અને પાઈપ દ્વારા મોટા પાયે રેતી ઉલેચવાની પ્રવૃત્તિ ચાલુ છે, જે ખુલ્લેઆમ કાયદાનો ભંગ છે. આવા ગેરકાયદેસર ધંધા સામે અવાજ ઉઠાવનાર પત્રકાર પર હુમલો થવો લોકશાહી અને પત્રકારિતાની સ્વતંત્રતા પર સીધો હુમલો હોવાનું પત્રકારોએ જણાવ્યું હતું.
આ સમગ્ર ઘટનાની ભરૂચ જિલ્લાના પત્રકારોએ કડક શબ્દોમાં નિંદા કરી હતી અને રેત માફિયાની બેફામ પ્રવૃત્તિઓ સામે તંત્ર કડક કાર્યવાહી કરે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.
