શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ., વટારિયામાં કસ્ટોડિયન કમિટીના કાર્યકાળ દરમિયાન અનેક સભ્યો દ્વારા રાજીનામા આપવામાં આવ્યા હોવાની ગંભીર પરિસ્થિતિ સામે આવી છે. આ રાજીનામાઓના પરિણામે કમિટીમાં ક્વોરમનો અભાવ, બેઠકમાં હાજરી ન રહેવી અને નિર્ણય પ્રક્રિયા ઠપ્પ થવી જેવી સ્થિતિ ઊભી થઈ છે.
કસ્ટોડિયન કમિટીના રાજીનામાઓ સ્પષ્ટ કરે છે કે વર્તમાન વચગાળાની વ્યવસ્થા અકાર્યક્ષમ અને અવિશ્વસનીય બની ગઈ છે. ખેડૂતો અને સભાસદોમાં ભારે અસંતોષ ફેલાયો છે અને સંસ્થાના દૈનિક વહીવટ પર સીધી અસર પડી રહી છે.
ગુજરાત સહકારી સોસાયટીઓ અધિનિયમ મુજબ, વચગાળાની વ્યવસ્થા મર્યાદિત સમય માટે જ હોઈ શકે છે. લાંબા સમય સુધી કસ્ટોડિયન કમિટી ચાલુ રાખવી અને હવે રાજીનામાઓ છતાં તેને યથાવત રાખવી એ કાયદાનો ભંગ અને સહકારી લોકશાહીનું અપમાન છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી ના મહામંત્રી અને પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલાની રાજ્ય સરકારને સ્પષ્ટ માંગ છે કે:
1. વર્તમાન કસ્ટોડિયન કમિટીને તાત્કાલિક ભંગ કરવામાં આવે.
2. સંસ્થામાં નિષ્પક્ષ વહીવટદાર (Administrator) ની તાત્કાલિક નિમણૂક કરવામાં આવે.
3. ખેડૂત સભાસદોના હિતોને ધ્યાનમાં રાખી સમયબદ્ધ અને પારદર્શક ચૂંટણી યોજવામાં આવે.
આ મુદ્દો માત્ર એક સંસ્થાનો નથી, પરંતુ સહકારી ક્ષેત્રમાં લોકશાહી, પારદર્શિતા અને કાયદાના શાસનનો ગંભીર પ્રશ્ન છે. રાજ્ય સરકારે હવે વધુ વિલંબ કર્યા વિના તાત્કાલિક અને જવાબદાર નિર્ણય લેવો જોઈએ.
