ભરૂચ,
શહેરના લિંક રોડ સ્થિત શ્રી ભૃગુપુર મોઢ મોદી સમાજના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાજીના ૨૬મા પાટોત્સવની અત્યંત શ્રદ્ધા અને ઉલ્લાસભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. માતાજીના પ્રાગટ્ય અને પાટોત્સવના આ મંગલ અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં મોદી સમાજના અગ્રણીઓ અને ભાવિક ભક્તોએ હાજર રહી આશીર્વાદ મેળવ્યા હતા.
ઉજવણીનો પ્રારંભ ૩૦મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ ‘આનંદના ગરબા’ના મનોરથ સાથે થયો હતો. પાટોત્સવના મુખ્ય દિવસે સવારે માતાજીની વિશેષ આરતી અને કેક કાપી મહોત્સવને ખુલ્લો મુકાયો હતો. બપોરે હિતેશનગર મંદિરથી નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં શિનોરની બેન્ડ પાર્ટીના સૂર અને ભક્તોના જયઘોષથી સમગ્ર માર્ગ ગુંજી ઉઠ્યો હતો. આ શોભાયાત્રા સિવિલ રોડ અને શક્તિનાથ થઈ લિંક રોડ સ્થિત શ્રી નારાયણ બાપુના આશ્રમે પહોંચી હતી, જ્યાં શ્રદ્ધાળુઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સાંજે શાસ્ત્રોક્ત વિધિ મુજબ માતાજીનો હવન યોજાયો હતો, જેમાં સાંજે ૬:૩૦ કલાકે શ્રીફળ હોમવાની વિધિ સાથે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ રાત્રે ભવ્ય મહાઆરતી અને મહાપ્રસાદીનું સુંદર આયોજન કરાયું હતું. જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન લિંક રોડ વિસ્તાર માતાજીની ભક્તિના રંગે રંગાયો હતો. ભૃગુપુર મોઢ મોદી સમાજ દ્વારા આયોજિત આ મહોત્સવમાં ભક્તોએ દર્શન અને પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
ભરૂચમાં શ્રી મોઢેશ્વરી માતાજીનો ૨૬મો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક સંપન્ન: ભવ્ય શોભાયાત્રા અને હવનમાં ઉમટ્યું શ્રદ્ધાળુઓનું મહેરામણ
Advertisement
