અંકલેશ્વર:
શહેરમાં આજ રોજ ફરી એક વખત આગની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી. અંકલેશ્વરના નેશનલ હાઈવે નજીક, નવજીવન હોટલ પાછળ આવેલ ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ સાથે જ આજની આ ત્રીજી આગની ઘટના ગણાઈ રહી છે.
આગ લાગતા ગોડાઉનમાં રહેલ ભંગાર સામગ્રી તેમજ કન્ટામિનેટેડ બેરલમાં જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધૂમાડાના ગોટેગોટા દૂર સુધી નજરે પડ્યા હતા. નેશનલ હાઈવે નજીક આગ લાગતા વાહનચાલકો અને આસપાસના વેપારીઓમાં પણ ગભરાટ ફેલાયો હતો.
ઘટનાની જાણ થતાં તરત જ અંકલેશ્વર DPMC અને પાનોલી ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. આશરે ૫ જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ સાથે ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર ગોડાઉનમાં રહેલ ભંગાર અને કેમિકલથી સંકળાયેલ બેરલ બળી ને ખાખ થઈ ગયા છે. GPCB દ્વારા નિયમોનુસાર નોટિસ ઈશ્યૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ ગોડાઉનનો મોટો ભાગ બળી જતાં નોંધપાત્ર આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી, જોકે શોર્ટ સર્કિટ અથવા ભંગારમાં રહેલ જ્વલનશીલ પદાર્થને કારણે આગ ભભૂકી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસ તથા સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
