અંકલેશ્વર જીઆઇડીસી હેક્સ ચોકડી વિસ્તારમાં આવેલી રૂસન ફાર્મા કંપનીમાં 20 વર્ષથી ફિટર તરીકે ફરજ બજાવતા મુકેશ સિંહ નામના કર્મચારીને અચાનક રાજીનામું લખાવી કાઢી મુકવામાં આવતા વિવાદ સર્જાયો છે. સમગ્ર મામલે કરણી સેના મેદાનમાં ઉતરતા વાતાવરણ તંગ બન્યું હતું.
મળતી માહિતી મુજબ, કંપની મેનેજમેન્ટ દ્વારા મુકેશ સિંહ પર કંપનીના વેસ્ટ વોટર અંગે એસ.ઓ.જી.ને માહિતી આપવાનો આક્ષેપ મૂકાયો હતો. આરોપ છે કે કંપની દ્વારા વરસાદી કાંસમાં પાઇપ લગાવી રોજબરોજ આશરે 20 થી 25 હજાર લિટર કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાની જાણ એસ.ઓ.જી.ને કરવામાં આવી હતી. આ મામલે કંપનીએ મુકેશ સિંહને ત્રણ કલાક સુધી ઓફિસમાં બેસાડી રાખ્યા બાદ યુનિટ હેડ દ્વારા તેમનું રાજીનામું લખાવી લીધું હોવાનું જણાવાયું છે.
ઘટનાની જાણ થતાં કરણી સેના ના પ્રદેશ ઉપાધ્યક્ષ ભગતસિંહ ડોડિયા સહિતના કાર્યકરો કંપની ખાતે દોડી આવ્યા હતા અને હલ્લાબોલ કરી મુકેશ સિંહને નોકરી પર પરત લેવા માંગણી કરી હતી. કરણી સેનાના આગેવાનોએ સવાલ ઉઠાવ્યો હતો કે જો ખરેખર એસ.ઓ.જી.માં ફરિયાદ કરવામાં આવી હોય તો અત્યાર સુધી કોઈ પોલીસ ફરિયાદ કેમ નોંધાઈ નથી અને કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી? કાર્યવાહી વિના કર્મચારીને દોષિત ઠરાવી કાઢી મુકવાનો નિર્ણય કેમ લેવાયો તે અંગે કંપની તરફથી સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી.
મુકેશ સિંહે આક્ષેપ કર્યો હતો કે તેમના પર ખોટો આરોપ મૂકી દબાણ હેઠળ રાજીનામું લેવડાવવામાં આવ્યું છે. છેલ્લા બે વર્ષથી યુનિટ હેડ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હતી અને હવે ખોટા આરોપના આધારે નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા છે. કરણી સેનાએ આક્ષેપ કર્યો હતો કે જો કંપની ખરેખર કેમિકલયુક્ત પાણી વરસાદી કાંસમાં છોડતી હોય તો જીપીસીબી દ્વારા તાત્કાલિક તપાસ કરી કડક કાર્યવાહી કરવી જોઈએ.
આ સમગ્ર મામલે કંપની તરફથી સ્થળ પર હાજર મીડિયા સમક્ષ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. જેના કારણે અનેક સવાલો ઊભા થયા છે. હાલ મામલો તંગદિલી વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે.
