ભરૂચ:
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના નર્મદાનગર ખાતે આયોજિત GNFCના સુવર્ણ જયંતિ મહોત્સવમાં વિશેષ ઉપસ્થિતિ આપી હતી. કંપનીના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉદ્યોગ વિકાસ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ કેન્દ્રસ્થાને રહ્યો હતો.
આ પ્રસંગે મુખ્યપ્રધાને કંપની દ્વારા વિકસાવવામાં આવેલા અદ્યતન ‘મિયાવાકી વન’નું લોકાર્પણ કર્યું હતું. આશરે 22,000 ચોરસ મીટર વિસ્તારમાં વિકસાવાયેલા આ વનમાં 92 વિવિધ પ્રજાતિના કુલ 1,01,972 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ પહેલથી ઔદ્યોગિક વિસ્તારમાં હરિયાળીનો વ્યાપ વધશે અને પર્યાવરણ જતનને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.
કાર્યક્રમ દરમિયાન મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે રાજ્યના અન્ય ઉદ્યોગોએ પણ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત પર્યાવરણલક્ષી પહેલો અપનાવી હરિયાળું ગુજરાત બનાવવા યોગદાન આપવું જોઈએ.
આ ઉપરાંત GNFC ગોલ્ડન જ્યુબિલી કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના વૈજ્ઞાનિક અને બૌદ્ધિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે અપગ્રેડ કરાયેલા નર્મદાનગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, અદ્યતન ટેલિસ્કોપ અને આધુનિક લાઇબ્રેરીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું.
મુખ્યપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું કે GNFCની પાંચ દાયકાની યાત્રા આત્મનિર્ભર ભારતના નિર્માણમાં કંપનીના મહત્વપૂર્ણ યોગદાનની સાક્ષી છે. ખાતર ક્ષેત્રમાં કંપનીએ નોંધપાત્ર સફળતા મેળવી છે અને તેની ગ્રીન પહેલોને વ્યાપક સ્વીકૃતિ મળી રહી છે.
1976માં સ્થાપિત કંપનીએ કૃષિ, કેમિકલ અને ટેકનોલોજી ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. છેલ્લા પાંચ દાયકામાં કંપનીએ માત્ર ઔદ્યોગિક વિકાસ જ નહીં પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું પણ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ, જનપ્રતિનિધિઓ, કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ તથા આમંત્રિત મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
