ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભરૂચ ખાતે આયોજિત GNFC સુવર્ણ જયંતિ ના 50મા સુવર્ણ જયંતિ મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેમણે શહેરના સેવાભાવી નાગરિકો તથા દિવ્યાંગ બાળકો માટે કાર્યરત સંસ્થાઓની મુલાકાત લઈ તેમની કામગીરીની માહિતી મેળવી હતી.
મુખ્યમંત્રીએ સૌપ્રથમ સાધના સ્કૂલ નજીક બળેલી ખો વિસ્તારમાં રહેતા સેવાયજ્ઞ સમિતિના વ્યવસ્થાપક રાકેશ ભટ્ટના નિવાસસ્થાને પહોંચીને તેમનું તથા તેમના પરિવારજનોનું સન્માન કર્યું હતું. આ દરમિયાન તેમણે સેવાયજ્ઞ સમિતિ દ્વારા નિસહાય, જરૂરિયાતમંદ અને વંચિત વર્ગના લોકો માટે કરવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ સમિતિના માનવતાલક્ષી કાર્યોની પ્રશંસા કરતા સમાજના અંતિમ વ્યક્તિ સુધી સહાય પહોંચાડવાના પ્રયાસોને સરાહનીય ગણાવ્યા હતા.
ત્યારબાદ મુખ્યમંત્રી સાધના સ્કૂલની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ સાધી તેમને જીવનમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. મુલાકાત દરમિયાન નજીકની શાળામાંથી બાળકોના અવાજથી આકર્ષાઈ તેઓ ત્યાં પણ પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે હળવી વાતચીત કરી સૌનું મન જીતી લીધું હતું.
આગળ મુખ્યમંત્રી પ્રીતમનગર વિસ્તારમાં સ્થિત દિવ્યાંગ બાળકો માટે કાર્યરત ‘કલરવ’ સંસ્થાની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે સંસ્થાના સંચાલક નીલા મોદી, તેમના પરિવારજનો તથા સંસ્થામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો સાથે મુલાકાત કરી હતી. છેલ્લા 33 વર્ષથી દિવ્યાંગ બાળકોને શિક્ષણ, તાલીમ અને આત્મનિર્ભરતા તરફ દોરી જવાના નીલા મોદીના પ્રયાસોને મુખ્યમંત્રીએ બિરદાવ્યા હતા.
મુખ્યમંત્રીએ દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે ‘કલરવ’ સંસ્થાને જરૂરી સહયોગ અને મદદરૂપ થવાની ખાતરી આપી હતી. તેમની આ મુલાકાત દરમિયાન સ્થાનિકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. લોકોમાં મુખ્યમંત્રીના સરળ, સંવેદનશીલ અને લોકસંપર્કયુક્ત અભિગમની વિશેષ પ્રશંસા થઈ હતી.
