ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો આજે શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં પ્રારંભ થયો હતો. જિલ્લાના કુલ 143 પરીક્ષા કેન્દ્રો પર 35,861 વિદ્યાર્થીઓ ઉત્સાહભેર પરીક્ષામાં બેઠા હતા. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
આજે ધોરણ-10નું ગુજરાતી વિષયનું પેપર લેવામાં આવ્યું હતું. સાથે સાથે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું ભૌતિક વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું અર્થશાસ્ત્ર વિષયનું પેપર યોજાયું હતું. તમામ કેન્દ્રો પર પરીક્ષા પ્રક્રિયા નિયમબદ્ધ રીતે પૂર્ણ થઈ હતી.
જિલ્લામાં એસએસસીના 22,796 વિદ્યાર્થીઓ, એચએસસી સામાન્ય પ્રવાહના 9,774 અને વિજ્ઞાન પ્રવાહના 3,259 વિદ્યાર્થીઓ પરીક્ષામાં સામેલ થયા છે. ઉપરાંત સંસ્કૃત માધ્યમના 32 વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી રહ્યા છે.
પરીક્ષા પારદર્શક અને ગેરરીતિમુક્ત રીતે યોજાય તે માટે 153 સરકારી પ્રતિનિધિઓ, 143 સુપરવાઇઝરો, 1,282 ખંડ નિરીક્ષકો તથા 331 પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી. તમામ પરીક્ષા કેન્દ્રો પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
વિદ્યાર્થીઓને કેન્દ્ર સુધી સરળતાથી પહોંચવામાં સહાય થાય તે માટે જિલ્લા પોલીસ વિભાગ અને રિક્ષા એસોસિએશનના સહયોગથી પરિવહન વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ હતી. સાથે જ પરીક્ષા કેન્દ્રોમાં સ્માર્ટ વોચ સહિતના ઇલેક્ટ્રોનિક સાધનો પર પ્રતિબંધ મુકાયો હતો તેમજ 100 મીટરના વિસ્તારમાં ઝેરોક્સ મશીન અને લાઉડસ્પીકર ચલાવવા પર પણ રોક લગાવવામાં આવી હતી.
જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા આરોલે GNFC નર્મદા વિદ્યાલય ખાતે હાજરી આપી વિદ્યાર્થીઓને તિલક કરી, ચોકલેટ અને ગુલાબ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ રીતે ભરૂચ જિલ્લામાં બોર્ડ પરીક્ષાનો પ્રથમ દિવસ શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
