કેટલાક વિસ્તારોમાં ચંદ્રોદય ગ્રહણકાળ બાદ થવાને કારણે ગ્રહણ નજરે નહીં પડે
ભરૂચ.
આગામી તા. 3 માર્ચ 2026, મંગળવારના રોજ અવકાશમાં એક વિશિષ્ટ ખગોળીય ઘટના તરીકે ખગ્રાસ ચંદ્રગ્રહણ સર્જાવાનું છે. આ ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો અંદાજે 3 કલાક અને 27 મિનિટનો રહેશે. ભારતના વિવિધ રાજ્યો અને શહેરોમાં ગ્રહણ અલગ-અલગ સ્વરૂપે નિહાળવા મળશે. કેટલાક વિસ્તારોમાં સાંજે 6 વાગ્યા બાદ માત્ર અડધો કલાકથી 45 મિનિટ સુધી ગ્રહણ દેખાશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ચંદ્રોદય ગ્રહણકાળ બાદ થવાને કારણે ગ્રહણ નજરે નહીં પડે. જ્યોતિષ પરંપરા મુજબ, ગ્રહણ દરમિયાન વેધકાળ અને સુતકનું પાલન કરવામાં આવે છે. જેના અનુસંધાનમાં અનેક મંદિરોમાં ધાર્મિક વિધિ-વિધાનોમાં ફેરફાર કરવામાં આવે છે.
ભરૂચ જિલ્લાના ઓસારા ગામે આવેલ શ્રી વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ભક્તો માટે માત્ર મંગળવારે જ દર્શનાર્થે ખુલ્લું રહે છે. પરંતુ તા. 3/3/2026ના રોજ પૂનમ તથા ચંદ્રગ્રહણ બંને સંયોગ થતા, ગ્રહણના વેધ અને સુતકને ધ્યાનમાં રાખીને મંદિર સંચાલક મંડળ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તે મુજબ 3 માર્ચ, મંગળવારના રોજ પૂનમ હોવા છતાં ઓસારા સ્થિત વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ભક્તો માટે આખો દિવસ સંપૂર્ણ બંધ રાખવામાં આવશે. તમામ માઈભક્તોએ આ બાબતની નોંધ લેવા વિનંતી કરવામાં આવે છે. આ અંગે મંદિર તરફથી ભક્તોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ ગ્રહણ પૂર્ણ થયા બાદ નિયમિત દર્શન માટે આવકાર્ય રહેશે.
