મસ્જિદ પુરાતત્વ વિભાગ (ASI) હસ્તકની રક્ષિત ધરોહર હોવા છતાં નિયમો વિરુદ્ધ પ્રવૃત્તિઓ ચાલતી હોવાના આક્ષેપો
ભરૂચ.
ભરૂચ સ્થિત ઐતિહાસિક જામા મસ્જિદ પરિસરમાં કેટલીક મહિલાઓ દ્વારા પૂજા કરવામાં આવ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરમાં ભારે ચર્ચા અને ખળભળાટ મચ્યો છે. વીડિયોમાં મહિલાઓ ફૂલ, શ્રીફળ અને પ્રસાદ સાથે ધાર્મિક વિધિ કરતી નજરે પડે છે. ઘટનાસ્થળે પોલીસકર્મીઓ હાજર હોવાની દૃશ્યો પણ સામે આવતા સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઉઠ્યા છે.
આ ઘટનાએ વર્ષોથી ચાલતા સ્થળના ઐતિહાસિક અસ્તિત્વ સંબંધિત વિવાદને ફરી જીવંત કર્યો છે. સંત સમિતિ તથા કેટલાક હિન્દુ સંગઠનો લાંબા સમયથી આ સ્થળને મહાનુભાવ પંથના સ્થાપક શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ તેમજ પ્રાચીન સમળી વિહાર જૈન મંદિર હોવાનું દાવો કરતા આવ્યા છે. ભૂતકાળમાં આ મુદ્દે ઉપવાસ આંદોલન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સાથે જ મસ્જિદ પુરાતત્વ વિભાગ (ASI) હસ્તકની રક્ષિત ધરોહર હોવા છતાં નિયમો વિરુદ્ધ પ્રવૃત્તિઓ ચાલતી હોવાના આક્ષેપો પણ થયા હતા.
બીજી તરફ, સ્થાનિક મુસ્લિમ આગેવાનો અને મસ્જિદ ટ્રસ્ટીઓએ ઘટનાનો સખત વિરોધ નોંધાવ્યો છે. તેઓએ આ કૃત્યને ધાર્મિક પરંપરાનો ભંગ ગણાવી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમના મતે મસ્જિદની પવિત્રતા અને પરંપરાનું સંરક્ષણ જરૂરી છે.
ઘટનાની જાણ થતા જ ટ્રસ્ટીઓ અને આગેવાનો સ્થળ પર પહોંચ્યા હતા. હાલ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે જેથી શહેરમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે. વીડિયો વાયરલ થયા બાદ ફરી એકવાર ઐતિહાસિક વારસા અને ધાર્મિક આસ્થા વચ્ચેનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
