નાગરિકોને અછત ન પડે તે માટે જિલ્લા પુરવઠા તંત્રની કડક દેખરેખ, ઝોન અને તાલુકા સ્તરે ખાસ ટીમો કાર્યરત
ભરૂચ.
સુરત શહેર અને જિલ્લામાં રાંધણ ગેસની કૃત્રિમ અછત ઉભી કરી કાળાબજારી થતી હોવાની ફરિયાદોને પગલે જિલ્લા પુરવઠા તંત્ર હરકતમાં આવ્યું છે. ઈરાન-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિનો ગેરલાભ લેવામાં આવી રહ્યો હોવાના આક્ષેપોને ગંભીરતાથી લઈ તંત્ર દ્વારા સુરત શહેર-જિલ્લાની કુલ ૭૫ ગેસ એજન્સીઓ પર સરકારી નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે.
ગેસ વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા જળવાઈ રહે અને સામાન્ય નાગરિકોને સરળતાથી ગેસ ઉપલબ્ધ થાય તે હેતુસર નાયબ મામલતદાર, તલાટી તથા ક્લાર્ક કક્ષાના અધિકારીઓને ‘ઓબ્ઝર્વર’ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ ઝોન અને તાલુકા કક્ષાએ વિશેષ તપાસ ટીમો રચાઈ છે, જે ગેરરીતિ, સંગ્રહખોરી અને કાળાબજારી પર કડક નજર રાખશે.
નિયુક્ત અધિકારીઓ દ્વારા ગેસ એજન્સીઓની દૈનિક કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવશે. તેમાં દૈનિક સ્ટોક, નવા બુકિંગ અને તેની સામે થતી ડિલિવરીની વિગતોનું સુક્ષ્મ મૂલ્યાંકન કરવામાં આવશે. ગ્રાહકોને સમયસર અને યોગ્ય રીતે ગેસ સિલિન્ડર મળી રહે તેની ખાસ તકેદારી રાખવામાં આવશે.
જિલ્લા પુરવઠા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોને રાંધણ ગેસ મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર પ્રતિબદ્ધ છે. જો કોઈ એજન્સી ગેરરીતિમાં સંડોવાયેલી જણાશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
