શાહીબાગ ખાતે આવેલ સર્કિટ હાઉસમાં રાજ્યસ્તરે બૌદ્ધ ધર્મના મહત્વપૂર્ણ ગ્રંથ “વિનયપિટક”માં સુધારા–વધારા અંગે એક ભવ્ય અને અર્થપૂર્ણ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મહા ગુજરાત બૌદ્ધ સંઘ દ્વારા તેમના પ્રોટોકોલ મુજબ સફળતાપૂર્વક યોજાયો હતો.
આ કોન્ફરન્સમાં ભરૂચ સહિત સમગ્ર ગુજરાત રાજ્યના 25થી વધુ જિલ્લાઓમાંથી આશરે 65 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. ઉપસ્થિત પ્રતિનિધિઓએ બૌદ્ધ ધર્મના સામાજિક બંધારણ તરીકે ઓળખાતા “વિનયપિટક” વિષે પોતાના વિચારો, સૂચનો અને મંતવ્યો રજૂ કર્યા હતા.
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ બૌદ્ધ સમાજમાં વ્યવસ્થિત અને સમયોચિત પરિવર્તન લાવી સમાજને વધુ સુદૃઢ બનાવવા માટેના સુધારા પર ચર્ચા કરવાનો રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં સહભાગી બનેલા પ્રતિનિધિઓએ ઉત્સાહભેર ચર્ચાઓમાં ભાગ લઈને રચનાત્મક સૂચનો આપ્યા હતા.
કાર્યક્રમના અંતે મહા ગુજરાત બૌદ્ધ સંઘ દ્વારા કોન્ફરન્સમાં હાજરી આપનાર તમામ પ્રતિનિધિઓ તેમજ સહયોગ આપનાર સૌનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રકારની પહેલ બૌદ્ધ સમાજના સંગઠનને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
