ગોલ્ડન બ્રિજ નજીક આવેલ ભગવાન કાર્તિકેય મંદિર ખાતે પંગુની ઉતરમ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દક્ષિણ ભારતીય તમિલ સમુદાય દ્વારા ભગવાન કાર્તિકેય (મુરુગન) અને દેવસેના ના દૈવી લગ્નોત્સવ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
આ પ્રસંગે ભક્તોએ પોતાની માનતા પૂર્ણ થતાં પરંપરાગત વેશભૂષામાં કાવડી યાત્રા યોજી હતી. કેટલાક ભક્તોએ ગાલમાં સળિયા કોચી શ્રદ્ધા વ્યક્ત કરી હતી. યાત્રા નર્મદા નદી કિનારે અંકલેશ્વર તરફથી શરૂ થઈ, ગોલ્ડન બ્રિજ પરથી પસાર થઈ ભરૂચ સ્થિત મંદિર સુધી પહોંચી હતી, જે શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
પંગુની ઉતરમ દક્ષિણ ભારતીય પરંપરામાં અત્યંત મહત્વનો તહેવાર છે, જેમાં ભગવાન મુરુગન અને દેવસેના ના લગ્નનો ઉત્સવ ઉજવાય છે. આ તહેવાર સામાન્ય રીતે માર્ચ–એપ્રિલ દરમિયાન તમિલ મહિના પંગુનીની પૂર્ણિમા દિવસે ઉજવવામાં આવે છે. કાવડી અટ્ટમ જેવી ધાર્મિક પરંપરાઓ આ પર્વને વિશેષ બનાવે છે.
ભરૂચમાં વસતા તમિલ પરિવારો છેલ્લા 48 વર્ષથી આ પરંપરાને જાળવી રાખી રહ્યા છે. તેઓ પોતાની સંસ્કૃતિને ઉજાગર કરવા સાથે માં નર્મદાને પવિત્ર માની યાત્રા કાઢી ભગવાન કાર્તિકેયના દર્શન કરીને પોતાની માનતા પૂર્ણ કરે છે.
આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ આ પવિત્ર પર્વને ભવ્ય રીતે ઉજવ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક માહોલ છવાયો હતો.
