સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ટીમ્બરવા ગામમાં તળાવને અતિશય ઊંડું ખોદવાના કારણે પાણીની સમસ્યા ઉભી થતા ગ્રામજનોએ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આવેદન મુજબ, ગામમાં પશુઓ અને લોકોના ઉપયોગ માટે તળાવ બનાવવામાં આવ્યું હતું, પરંતુ તાજેતરમાં તળાવમાંથી માટી કાઢી વેપાર કરવામાં આવતા તળાવ આશરે 30 થી 35 ફૂટ જેટલું ઊંડું થઈ ગયું છે. જેના કારણે ગામલોકો તેમજ ગાય-ભેંસ માટે પાણી પીવાની સમસ્યા ઊભી થઈ છે અને અકસ્માતનો ભય પણ ઉભો થયો છે.
ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે તળાવ ઊંડું થતા તેમાં પડવાનો ખતરો વધ્યો છે અને અગાઉ એકાદ દુર્ઘટના પણ બની ચૂકી છે. ઉપરાંત તળાવની આજુબાજુ ખોદકામ થતાં નજીકના મકાનોને પણ નુકસાન થવાની શક્યતા ઉભી થઈ છે.
આવેદનમાં વધુમાં જણાવાયું છે કે કેટલાક લોકો દ્વારા તળાવની માટી કાઢીને વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ગામના તળાવની મૂળ રચના બગડી રહી છે. આ પ્રવૃત્તિ બંધ કરાવી તળાવને પહેલા જેવી સ્થિતિમાં લાવવા માટે ગ્રામજનોએ તંત્રને વિનંતી કરી છે.
ગ્રામજનોએ મામલતદારશ્રીને આ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરી યોગ્ય પગલાં ભરવા અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
