ભરૂચ :
ભરૂચ જિલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કાસુ ભલાભાઈ હઠીલાને 26 વર્ષ બાદ વહેલી મુક્તિ આપવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં ફરજ દરમિયાન નોંધાયેલા ગુનાના કેસમાં તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
માહિતી મુજબ વર્ષ 1986માં હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લાના ધરમશાળા ખાતે નોંધાયેલા કેસમાં એડિશનલ સેશન કોર્ટે કાસુભાઈને આજીવન કેદની સજા સંભળાવી હતી. ત્યારથી તેઓ ભરૂચ જિલ્લા જેલમાં કેદી નંબર 35355 તરીકે સજા ભોગવી રહ્યા હતા.
સરકારી ધોરણો અનુસાર તેઓ વહેલી મુક્તિ માટે પાત્ર બનતા ભરૂચ જેલ પ્રશાસન દ્વારા બી.એન.એસ.એસ. કલમ 473 હેઠળ જરૂરી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેલ અધિક્ષકે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી આ મામલો હિમાચલ પ્રદેશના ડીજી પ્રિઝન, શિમલા સુધી મોકલ્યો હતો.
પછી જેલ સલાહકાર સમિતિની બેઠકમાં કાસુભાઈની વહેલી મુક્તિ અંગે સકારાત્મક અભિપ્રાય આપવામાં આવ્યો હતો. જેના આધારે હિમાચલ પ્રદેશ સરકારના ગૃહ વિભાગે તેમની બાકી રહેલી સજા માફ કરીને શરતોને આધીન વહેલી મુક્તિનો આદેશ કર્યો હતો.
આદેશ પ્રાપ્ત થતા ભરૂચ જેલના ઇન્ચાર્જ અધિક્ષક એન.પી. રાઠોડ દ્વારા કાસુભાઈને જેલમુક્ત કરવામાં આવ્યા હતા. જેલ પ્રશાસન દ્વારા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
